લંડનઃ યુકેમાં અડધાથી વધારે યુવાઓ કોરોના વાઇરસની ગેરમાર્ગે દોરતી માહિતીનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. ઓફકોમ દ્વારા કરાયેલા એક સંશોધન અનુસાર મીડિયા નિયમનકારોને કોવિડ-૧૯ અંગેના સાચા અને ખોટા દાવાઓ અંગે મૂંઝવણ વધી છે. દરરોજ ચારમાંથી એક વ્યક્તિને મહામારી અંગે દિવસમાં ૨૦ કે તેથી વધારે વખત માહિતી મળી રહી છે. જોકે તેમાંથી કેટલી સાચી અને કેટલી ખોટી તે નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે.
મીડિયા રેગ્યુલેટર દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે અડધાથી વધારે બ્રિટિશ નાગરિકો કોરોના વાઇરસની સાચી કે ખોટી માહિતી સંદર્ભે મૂંઝવણ અનુભવે છે. બ્રિટશરોને કોરોના વાઇરસ (કોવિડ-૧૯)ની ગેરમાર્ગે દોરતી માહિતી ઓનલાઇન મળી રહી છે.
સોશિયલ મીડિયા પર આ પ્રકારે કોરોના સંબંધી ગેરમાર્ગે દોરતી માહિતી આપનારાઓ સામે પગલાં લેવા વરિષ્ઠ સાંસદો અને અનેક સંગઠનો દ્વારા માંગણી પણ કરવામાં આવી છે.
જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી ૩૫ ટકા યુવાઓને ઓનલાઇન એવી ખોટી માહિતી જોવા મળી રહી છે જેમાં દાવો કરાયો છે કે વધારે પાણી પીવાથી ઇન્ફેક્શન બહાર નીકાળી શકાય છે. જ્યારે ૨૪ ટકા લોકોએ એવી ખોટી માહિતી નિહાળી કે જેમાં દાવો કરાયો છે કે જે લોકો મીઠાંનાં પાણીનાં કોગળા કરે છે અથવા ઠંડાપીણાં અને ઠંડુ ભોજન આરોગતા નથી તેમને કોરોના થતો નથી.
અડધાથી વધારે યુવાઓએ માન્યું હતું કે તેઓ આવા ખોટા દાવાઓને અવગણે છે, જ્યારે ૧૫ ટકાએ જણાવ્યું હતું કે તેઓ ફેક્ટ ચેકિંગ ટીપ્સનો ઉપયોગ કરે છે.
સર્વેમાં આવરી લેવાયેલા ૪૦ ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે વાઇરસ અંગેની માહિતી સાચી છે કે ખોટી કે નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે.
યુકેમાં દરરોજ વિશાળ સંખ્યામાં લોકો કોરોના વાઇરસ સંબંધી અનેક પ્રકારના દાવા કરતી માહિતી નિહાળી રહ્યાં છે. જેમાંથી મોટાભાગની માહિતી તેમને ગેરમાર્ગે દોરે છે. સર્વે દરમિયાન ૧૮થી ૨૪ વર્ષની વયના ૪૨ ટકા યુવાઓએ જણાવ્યું હતું કે તેઓ વારંવાર હાથ ધોવાની માહિતીને ગંભીરતાથી અનુસરે છે.
૨૦૦૦ લોકો પર કરાયેલા અભ્યાસ અનુસાર યુકેમાં યુવાઓને દરરોજ કોવિડ-૧૯ અંગેના સમાચાર અને માહિતી ઓનલાઇન દિવસમાં ૨૦ કે તેનાથી વધારે વખત મળે છે.
સંશોધનકર્તાઓને જાણવા મળ્યું કે બીબીસી ટીવી, રેડિયો અને ઓનલાઇન સર્વિસ એ લોકોને માહિતી મેળવવા માટેના સમાન મંચ બની રહ્યાં છે જ્યાં મહામારી અંગેના સમાચાર મળે છે.