લંડનઃ ઈયુથી બહાર થવા અંગે વડાપ્રધાન થેરેસા મેએ આપેલા વક્તવ્ય બાદ તેની શું પ્રતિક્રિયા આપવી તેને લઈને લેબર પાર્ટીમાં વિવાદ સર્જાયો હતો. જોકે, લેબર પાર્ટીના વડા જેરેમી કોર્બીને અણસાર આપ્યો હતો કે તે ત્રણ લીટીનો વ્હીપ જારી કરીને તમામ સાંસદોને ઈયુ છોડવાની વિરુદ્ધનું વલણ અપનાવવાને બદલે સરકારને સમર્થન આપવાનું જણાવશે.
કોર્બીનના સિનિયર શેડો કેબિનેટ સાથી ક્લાઈવ લેવિસે ચેતવણી આપી હતી કે તે આર્ટિકલ ૫૦ની તરફેણમાં મતદાન નહી કરે. અન્ય સિનિયર સભ્યોની ટીમે પણ તેવી જ ચીમકી ઉચ્ચારી હતી. તેની પ્રતિક્રિયામાં કોર્બીનનું આ સૂચન આવ્યું હતું.
જોકે, કોર્બીન તેના સાંસદોને સરકારની તરફેણમાં મતદાન માટે દબાણ કરશે તે વાતનો પક્ષના સૂત્રોએ ઈનકાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે કોર્બીન હજુ વિચારણા કરી રહ્યા છે.

