લંડનઃ સરકારના સ્વતંત્ર ઈક્વલિટીઝ વોચડોગ EHRCએ સલાહ આપી છે કે સમાજને ખુલ્લાં થવામાં મદદરુપ થવા માટેની કોવિડ-સ્ટેટસ સર્ટિફિકેટ સ્કીમ ગેરકાયદે ભેદભાવ બની શકે છે. સરકારી દસ્તાવેજો દ્વિસ્તરીય સોસાયટીનું નિર્માણ કરશે.
મિનિસ્ટર્સ આ વર્ષના અંત ભાગમાં કેટલાક ચોક્કસ કાર્યક્રમો માટે પાસપોર્ટ તરીકે દસ્તાવેજો દાખલ કરવા જોઈએ કે નહિ તેની વિચારણા કરી રહ્યા છે ત્યારે ઈક્વલિટીઝ એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશને (EHRC) કેબિનેટ ઓફિસને જણાવ્યું છે કે આનાથી તેઓ ‘દ્વિસ્તરીય સોસાયટી’નું જોખમ ઉભું કરશે. EHRCએ એમ પણ જણાવ્યું છે કે તમામ યુવા વર્ગને વેક્સિન ઓફર કરાઈ ન જાય ત્યાં સુધી એમ્પ્લોયર્સને વર્કર્સની ભરતી બાબતે ‘નો જેબ, નો જોબ’ નીતિની છૂટછાટ અપાવી જોઈએ નહિ.
આ ઉપરાંત, વૃદ્ધ લોકોને મદદ કરતા કેર વર્કર્સ માટે વેક્સિન લેવાનું ફરજિયાત બનાવવાનું પણ કદાચ કાયદેસર નહિ ગણાય. અગાઉ, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે કેર વર્કર્સે વેક્સિન લેવાની રહેશે અન્યથા તેમને કેર હોમ્સમાં ગોઠવવાનો ઈનકાર કરાશે. સરકારે આ મુદ્દે પાંચ સપ્તાહનું કન્સલ્ટેશન લોન્ચ કરવા સાથે જણાવ્યું છે કે આ પહેલમાં પાછળથી વ્યાપક હેલ્થ અને સોશિયલ કેર વર્કફોર્સને પણ સમાવી શકાય છે.