લંડનઃ કોરોના મહામારીને લીધે આ વર્ષે વધુ ૫૦૦,૦૦૦ છોકરીઓને બાળ વિવાહ કરવાની ફરજ પડાય તેવું જોખમ હોવાનું સેવ ધ ચીલ્ડ્રન ઈન્ટરનેશનલ ચેરિટીના અહેવાલમાં જણાવાયું હતું. તેને લીધે બાળવિવાહના દરમાં છેલ્લાં ૨૫ વર્ષથી જે ઘટાડો થઈ રહ્યો છે તેમાં વધારો થશે. કોરોના મહામારી પહેલા દર વર્ષે ૧૨ મિલિયન છોકરીઓનાં લગ્ન થતાં હતા. તેમાં ૨ મિલિયન છોકરીઓના લગ્ન તો તેમની ૧૫મી વર્ષગાંઠ પહેલા થતાં હતા.
ચેરિટી દ્વારા ચેતવણી અપાઈ છે કે આગામી પાંચ વર્ષમાં ૨.૫ મિલિયન છોકરીઓ પરણે તેવું જોખમ છે. સંસ્થાના સીઈઓ ઈંગર એશિંગે જણાવ્યું કે આ વર્ષે ૧૧૭ મિલિયન બાળકો ગરીબીમાં ધકેલાઈ જશે તેવો અંદાજ છે. ઘણી છોકરીઓ પર કામ કરવાનું અને પરિવારને મદદ કરવાનું દબાણ થશે. ભૂખ્યા રહેવું પડશે અને પરિવારના બીમાર સભ્યોના મુખ્ય સારસંભાર લેનારા બનવું પડશે અને સ્કૂલમાંથી ડ્રોપઆઉટ લેવા સાથે કદી પાછા નહિ ફરવાનું જોખમ વધશે.
મહામારીને લીધે સ્કૂલો બંધ થઈ અને ઈબોલા મહામારી દરમિયાન થયેલો અનુભવ સૂચવે છે કે ઘણી છોકરીઓ કામ કરવાના વધેલા દબાણને લીધે, બાળવિવાહના જોખમથી, ગર્ભવતી છોકરીઓને સ્કૂલે જવા પર પ્રતિબંધને લીધે અને અભ્યાસ છૂટી ગયો હોવાથી ક્યારેય સ્કૂલે પાછી ફરશે નહિ.
બાળવિવાહના વધી ગયેલા જોખમને લીધે આ વર્ષે સાઉથ એશિયામાં ૧૯૧,૨૦૦ છોકરીઓને અસર થશે. પશ્ર્ચિમ અને મધ્ય આફ્રિકામાં ૯૦,૦૦૦, લેટિન અમેરિકા અને કેરેબિયનમાં ૭૩,૪૦૦ અને યુરોપ તથા મધ્ય એશિયામાં ૩૭,૨૦૦ છોકરીઓના બાળવિવાહનું જોખમ રહેલું છે.
યુદ્ધ, પૂર અને ભૂકંપ જેવી આપત્તિઓથી અસર પામેલી છોકરીઓના બાળવિવાહ થવાનું સૌથી વધુ જોખમ રહે છે. મહામારી પહેલાની માહિતી મુજબ શરણાર્થીઓની વસ્તીમાં બાળવિવાહનું પ્રમાણ વધતું હતું. લેબેનોનમાં સીરિયન શરણાર્થી છોકરીઓના બાળવિવાહમાં ૨૦૧૭ અને ૨૦૧૮ વચ્ચે ૭ ટકાનો વધારો નોંધાયો હતો.