લંડનઃ કોરોના વાઈરસના સંક્રમણનો શિકાર થયા પછી બચી ગયેલા ત્રણ લોકોમાંથી એક અથવા તો લગભગ ૩૩ ટકા લોકોને ચેપ લાગ્યાના છ મહિનામાં ન્યૂરોલોજિકલ અથવા સાઈકિયાટ્રિક સમસ્યાનું નિદાન કરાતું હોવાનું કોરોના વાઈરસની માનસિક આરોગ્ય પર અસર સંબંધિત સૌથી વ્યાપક અભ્યાસમાં બહાર આવ્યું છે. અભ્યાસના તારણો ધ લાન્સેટ સાઈકિઆટ્રી જર્નલમાં પ્રસિદ્ધ કરાયા હતા.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ જાન્યુઆરીથી ડિસેમ્બર ૨૦૨૦ના ગાળામાં કોવિડ-૧૯ના ૨૩૬,૪૦૦ પેશન્ટ્સ તેમજ ઈન્ફ્લુએન્ઝાના ૧૦૫,૬૦૦ દર્દીના હેલ્થ રેકોર્ડ્સની સરખામણી કરી હતી. તેમને જણાયું હતું કે ઈન્ફ્લુએન્ઝાના પેશન્ટ્સની સરખામણીએ કોવિડ-૧૯ના દર્દીઓમાં ન્યુરોલોજિકલ અને માનસિક સમસ્યા થવાની શક્યતા ૪૪ ટકા વધુ હતી.
અમેરિકી સંસ્થા Tri-NetX દ્વારા હોસ્પિટલ અને પ્રાઈમરી કેરમાં રખાયેલા ૮૧ મિલિયન પેશન્ટના હેલ્થ રેકોર્ડ્સનો ડેટા એકત્ર કરાયો હતો. કોવિડ-૧૯ પછી સૌથી સામાન્ય માનસિક અસરમાં ચિંતાતુરતા (૧૭ ટકા), મિજાજના ફેરફાર (૧૪ ટકા)નો સમાવેસ થયો હતો. ફ્લુના દર્દીઓમાં આવી અસરની સરખામમીએ કોવિડ દર્દીઓમાં તેની અસર ૪૫ ટકા જેટલી વધુ હતી. સ્ટ્રોક અને ડિમેન્શિયા સહિતના ન્યુરોલોજિકલ નિદાનો પ્રમામમાં ઓછાં હતા. જોકે, જે લોકો ઈન્ટેન્સિવ કેરમાં દાખલ કરાયા હતા તેમાંથી ૭ ટકાને સ્ટ્રોક અને લગભગ ૨ ટકાને ડિમેન્શિયાનું નિદાન કરાયું હતું. ફ્લુના દર્દની સરખામણીએ કોવિડ-૧૯ના દર્દીને ડિમેન્શિયાનું પ્રમાણ બે ગણાંથી વધુ, બ્રેઈન હેમરેજનું પ્રમાણ ૨.૫ ગણું તેમજ ૬૦ ટકાને સ્ટ્રોક થવાની શક્યતા જણાઈ હતી.