લંડનઃ આગામી ક્રિસમસ દરમિયાન સમગ્ર યુકેમાં એક પરિવારમાં ગમે તેટલા સભ્યો હોય તો પણ ત્રણ પરિવારના સભ્યોને ભેગાં થવાની સરકારે છૂટ આપી છે. વૈજ્ઞાનિકોએ આ પગલાંથી કોરોના વાઈરસના કેસોની સંખ્યા વધશે તેવી ચેતવણી આપી હતી.
યુકેની ચાર સરકારોની બેઠકમાં ‘ક્રિસમસ બબલ્સ‘નો આ ઘણાં સમય અગાઉ આવેલો વિચાર રજૂ કરાયો હતો. મિનિસ્ટરોના જણાવ્યા મુજબ મોટી ઉંમરના સગાંસંબંધીઓ અને અન્યને રહેલા જોખમ વિશે લોકોએ વ્યક્તિગત નિર્ણય લેવાનો રહેશે.
સરકારે જાહેર કરેલી છૂટછાટ મુજબ લોકો કોવિડ નિયંત્રણના કયા ટીયરમાં રહે છે તેને ધ્યાનમાં લીધા સિવાય તેઓ ૨૩થી ૨૭ ડિસેમ્બર સુધી મુક્તપણે મુસાફરી કરી શકશે. આ છૂટછાટનો ૨૮ ડિસેમ્બરે અંત આવશે અને તમામ વિસ્તારોમાં તેમના અગાઉના કોવિડ નિયમો લાગૂ થઈ જશે. નવા વર્ષમાં પણ તે અમલી રહેશે.
સંયુક્ત પરિવારો માટે કોઈ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ રહેશે નહીં. ઉદાહરણ તરીકે તેઓ પરિવારજનનોને હગ કરી શકશે. લોકોને વડીલ અથવા બીમાર વ્યક્તિઓને રહેલા જોખમ વિશે વિચારવાનો અનુરોધ કરાયો છે.
પરિવારો તેમના ઘરની અંદર, બહારના જાહેર સ્થળોએ અને પ્રાર્થનાના સ્થળોએ મળી શકશે. જોકે, તેઓ પબ અથવા અન્ય હોસ્પિટાલિટી સ્થળોએ ભેગાં થઈ શકશે નહીં. ઉપર જણાવેલા સ્થળો સિવાય અન્યત્ર લોકલ ટીયરના નિયમો લાગૂ રહેશે.
યુકેમાં મેના મધ્યથી અત્યાર સુધીમાં કોરોનાના ટેસ્ટમાં પોઝિટીવ આવ્યાના ૨૮ દિવસમાં દરરોજ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સૌથી વધુ ૬૦૮ નોંધાઈ હતી.
ક્રિસમસની આ યોજનાને તમામ સરકારોએ સંમતિ આપી હતી. વેલ્શ ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફર્ડે શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે કોરોના વાઈરસના સંક્રમણને જોતાં તેઓ થોડી અવઢવમાં છે. લોકો માટે વ્યવસ્થાનું સમાન માળખું છે તે સારું છે જેને લીધે તેઓ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે અને જવાબદારીપૂર્વક વર્તી શકશે.
સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને પણ લોકોને ક્રિસમસના આયોજન વિશે કાળજીપૂર્વક વિચારવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે આપ અન્ય લોકોને બંધબારણે હળીમળી શકો છો તેનો અર્થ એ નથી કે તમારે તે રીતે મળવું જ જોઈએ.
ચાર સરકારોના સંયુક્ત નિવેદનમાં ભારપૂર્વક જણાવાયું હતું કે પરિવારના સભ્યોને મળવા વિશેનો નિર્ણય પોતાના માટે તેમજ ખાસ કરીને નિર્બળ લોકોને રહેલા જોખમને ધ્યાનમાં રાખીને દરેકે વ્યક્તિગત રીતે લેવાનો રહેશે.