લંડનઃ ઇરાન દ્વારા ખાડી દેશો પર શરૂ કરાયેલા હુમલાઓના કારણે એક લાખ કરતાં પણ વધુ બ્રિટિશ નાગરિકો ફસાઇ ગયાં છે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, બ્રિટિશ નાગરિકોને સહીસલામત દેશ પરત લાવવા માટે સરકાર તમામ પ્રકારના વિકલ્પો પર વિચારણા કરી રહી છે. સરકાર આ માટે કોમર્શિયલ, ચાર્ટર અને મિલિટરી ફ્લાઇટ્સનો ઉપયોગ કરી શકે છે.
વડાપ્રધાન સ્ટાર્મરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇરાન દ્વારા ખાડી દેશોમાં લશ્કરી થાણાઓ, એરપોર્ટ અને હોટેલો પર થઇ રહેલા હુમલાઓના કારણે બ્રિટિશ નાગરિકોના જીવનો પર સીધું જોખમ સર્જાયું છે. તેમની સુરક્ષા સરકારની ટોચની પ્રાથમિકતા છે. અમે જાણીએ છીએ કે સમગ્ર દેશમાં લોકો તેમના પરિજનો માટે ઊંડી ચિંતામાં સપડાયા છે. અમે કોઇપણ રીતે ઝડપથી તેમને દેશમાં પરત લાવવા ઇચ્છીએ છીએ.
એક અંદાજ પ્રમાણે હાલમાં મીડલ ઇસ્ટમાં બે લાખ કરતાં વધુ બ્રિટિશ નાગરિકો છે. તેમાંથી 50 ટકાએ ફોરેન ઓફિસમાં નોંધણી કરાવી છે જેથી તેઓ ઝડપથી તે દેશોને છોડી સ્વદેશ પરત ફરી શકે.
બીજીતરફ સોમવાર રાતે અબુધાબીથી કેટલીક ફ્લાઇટ રવાના થતાં બ્રિટિશ નાગરિકોની સ્વદેશ વાપસી શરૂ થઇ શકી છે. દુબઇનું એરપોર્ટ પણ મંગળવારથી સંપુર્ણ કાર્યરત થઇ જાય તેવી સંભાવના છે.


