લંડનઃ બ્રિટનના એક ગુરુદ્વારા પર લગાવવામાં આવેલા ખાલિસ્તાન સંબંધિત બેનરો પર ચાલી રહેલા વિવાદમાં બ્રિટનની ચેરિટી નિયમનકારી સંસ્થાએ તેને ક્લીનચીટ આપી છે. ચેરિટી કમિશને કહ્યું કે, ખાલિસ્તાન સંબંધિત બેનરો લગાવવાથી ચેરિટીની રાજકીય પ્રવૃત્તિ સંબંધિત નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી.
બ્રિટનના ગુરુદ્વારા શ્રી ગુરુ સિંહ સભા પરની આ તપાસ થોડા વર્ષો પહેલા અનેક ફરિયાદો બાદ શરૂ કરવામાં આવી હતી. આ ફરિયાદોમાંથી એક ખાલિસ્તાન સંબંધિત બેનરો અંગેની હતી. આ મામલે ચેરિટી કમિશનના પ્રવક્તાએ ગુરુવારે (સાતમી ઓગસ્ટ) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમે ગુરુદ્વારામાં લગાવવામાં આવેલા બેનરોની સંપૂર્ણ સમીક્ષા કરી અને જાણવા મળ્યું કે તેમાં અમારા પ્રચાર અને રાજકીય માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું નથી.'
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 'ખાલિસ્તાન' શબ્દનો અર્થ ધાર્મિક આકાંક્ષા અને રાજકીય ધ્યેય બંને હોઈ શકે છે. ગુરુદ્વારામાં લગાવેલા બેનરો કોઈ રાજ્યની માંગણી કરી રહ્યા ન હોવાથી, ચેરિટી કાયદાના દાયરામાં હોવાનું જાણવા મળ્યું છે.