લંડનઃ દાયકાઓ સુધી ખાલિસ્તાની ચળવળ સામે વાણી સ્વતંત્રતાના નામે આંખ આડા કાન કર્યા પછી બ્રિટન સરકારે ભારતમાં અલગતાવાદી પ્રવૃત્તિઓમાં મદદગાર એવા બ્રિટિશ નાગરિકો અને સંગઠનો સામે પગલાં લેવાની પહેલ કરી છે. ખાલિસ્તાની કટ્ટરવાદી સંગઠન બબ્બર ખાલસાને મદદરૂપ થતા બ્રિટિશ નાગરિક ગુરપ્રીતસિંહ રેહલ અને સંગઠન બબ્બર અકાલી લેહર પર સ્ટાર્મર સરકારે ઘરેલુ આતંકવાદી કાયદાઓની જોગવાઇ અંતર્ગત આર્થિક પ્રતિબંધ લાદી દીધાં છે. ભારત સરકાર લાંબા સમયથી બ્રિટિશ સરકાર સમક્ષ ખાલિસ્તાની સમર્થક તત્વો અને સંગઠનો સામે પગલાં લેવા અપીલ કરી રહી હતી. ઓક્ટોબરમાં મુંબઇ ખાતે બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાતમાં મોદીએ ખાલિસ્તાની ગતિવિધિઓ પર લગામ કસવા સ્ટાર્મર સમક્ષ રજૂઆત કરી હતી. તે અંતર્ગત સરકારે આ પગલું લીધું છે.


