લંડનઃ ભૂખ્યા પેટે શરાબ પીવાથી આવેલા રિએક્શનમાં બ્રાઈટનની ફિટનેસ ઘેલી ૨૭ વર્ષીય યુવતી એલિસ બર્ટન બ્રેડફર્ડનું તેના ઘરના ગાર્ડનમાં મૃત્યુ થયું હતું. તે આલ્કોહોલિક કેટોએસિડોસિસ તરીકે ઓળખાતા રિએક્શનનો ભોગ બની હતી. ડ્રિંક લીધા પહેલા કશું ન ખાધું હોય ત્યારે ભાગ્યે જ જોવા મળતું આ રિએક્શન આવે છે.
આ ઘટના ગઈ ૧લી જૂને બની હતી. તેના મિત્રોએ જણાવ્યું હતું કે તે આલ્કોહોલની બંધાણી ન હતી. તે ફિટનેસ પાછળ ઘેલી હતી અને તેને સાઈકલિંગ તથા રનીંગ કરવામાં મઝા આવતી હતી. તેને આઠ વર્ષથી ઓળખતા રોટિંગ્ડનના ૩૦ વર્ષીય મિત્ર આરોન મલ્વે આવી વધુ ઘટનાઓ ન બને તે માટે આ પ્રકારના રિએક્શન વિશે વધુ વિગતો મેળવી રહ્યો છે. તેણે જણાવ્યું હતું કે આ એક ભયંકર આઘાત હતો. આવું બનશે તેવી કોઈને સહેજ પણ કલ્પના ન હતી. તે વીકેન્ડમાં એલિસે કેટલો શરાબ પીધો હતો તેની ચોક્કસ ખબર નથી પરંતુ તે આલ્કોહોલિક ન હતી. કોર્નવોલમાં રહેતા એલિસના પરિવાર સાથે ગાઢ સંપર્ક ધરાવતા આરોને એલિસની સ્મૃતિમાં મેમોરિયલ બેંચ માટે ક્રાઉડ ફંડિંગ દ્વારા અત્યાર સુધીમાં £૯૭૯ એકત્ર કર્યા છે.