લંડનઃ ઘરેલુ હિંસાના કેસની નોંધણીની સમગ્ર પદ્ધતિમાં બદલાવ લાવવા અધિકારીઓ વિચારણા કરી રહ્યાં છે. આ માટે અભિયાન ચલાવનાર સાંસદે જણાવ્યું હતું કે, ઘરેલુ હિંસાના અપરાધોના ચોક્કસ વર્ગીકરણના અભાવમાં ઘણા અપરાધીઓ જેલમાંથી જલદી મુક્ત થઇ જાય છે.
લિબરલ ડેમોક્રેટ્સના જસ્ટિસ પ્રવક્તા જોશ બાબરિન્ડેએ જણાવ્યું હતું કે, આ પ્રકારનો બદલાવ થવાથી ઘરેલુ હિંસાને વધુ સારી રીતે ઉજાગર કરી શકાશે કારણ કે હજુ પણ ઘરેલુ હિંસાના ઘણા કેસ સામે આવતાં જ નથી. જોશ કહે છે કે મારી માતા પણ ઘરેલુ હિંસાનો શિકાર બની હતી પરંતુ મારી ફરિયાદોની શિક્ષકો અને મિત્રો દ્વારા અવગણના કરાતી હતી.
બાબરિન્ડે જણાવ્યું હતું કે, કાયદામાં પીડિતોના અનુભવ અને ભયની નોંધ લેવામાં આવે તે અત્યંત મહત્વનું છે. કાયદો એવો હોવો જોઇએ કે અપરાધમાં દોષીને અપાતી સજામાં તેનું પ્રતિબિંબ જોવા મળે. ઘરેલુ હિંસા માટે ઘણીવાર આંખ આડા કાન કરાય છે પરંતુ સમાજ તરીકે આપણે તેના માટે કામ કરવાની જરૂર છે. ઘરેલુ હિંસા ઘરની ચાર દિવાલની અંદર થતી હોવાથી તે બહાર આવતી નથી અને તેથી તેમાં વધારો થતો જ રહે છે.


