લંડનઃ બેંક નોટ્સની લેવડદેવડ કરવાથી કોવિડ -૧૯ ફેલાવાનું જોખમ ખૂબ ઓછું રહેતું હોવાનું બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા જણાવાયું હતું. બેંકે નોટ્સ પર વાઈરસ કેટલા સમય સુધી રહે છે તે શોધવા માટે રિસર્ચ હાથ ધર્યું હતું. ગયા માર્ચમાં કોરોના મહામારી પછી ચલણી નોટોના ઉપયોગમાં ભારે ઘટાડો નોંધાયો હતો. બેંકે જણાવ્યું હતું કે આ ઘટાડા પાછળના કારણોમાં નોટના ઉપયોગથી વાઈરસ ફેલાય તે એક હોઈ શકે.
પહેલા લોકડાઉન પછીના રિઓપનીંગમાં ઘણી શોપ્સ અને હોસ્પિટાલિટી વેન્યુઝે ગ્રાહકોને કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે પ્રોત્સાહન આપ્યું, જયારે કેટલાકે ચલણી નોટો સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.
જોકે, શોપમાં સંક્રમણના વાયુકણો શ્વાસમાં જાય અથવા શોપીંગ બાસ્કેટ, દરવાજાના હેન્ડલને અથવા સેલ્ફ – ચેકઆઉટ ટર્મિનલ્સને સ્પર્શ કરવાથી થતા સંક્રમણના જોખમ કરતાં નોટોની લેવડદેવડમાં ખૂબ ઓછું જોખમ રહેલું હોવાનું સંશોધનમાં જણાયું હતું.
કોરોના વાઈરસના હાઈ ડોઝ સાથેની એટલે કે કોઈ વ્યક્તિએ બેંક નોટ પર સીધો જ ઉચ્છવાસ કર્યો હોય અથવા ઉધરસ ખાધી હોય તેવી નોટો પર આ અભ્યાસ કરાયો હતો. આ ટેસ્ટ પેપરની અને પોલીમરની ૧૦ પાઉન્ડની નોટ પર અભ્યાસ કરાયો હતો. સંક્રમિત થયા પછી તે નોટોને રૂમ ટેમ્પરેચરમાં રખાઈ હતી અને ફરીથી ટેસ્ટ કરાયો હતો.
અભ્યાસમાં જણાયું કે વાઈરસનું પ્રમાણ એક કલાક સુધી યથાવત રહ્યું હતું. પરંતુ, તે પછીના પાંચ કલાકમાં તેમાં ઝડપથી ઘટાડો નોંધાયો હતો અને ૨૪ કલાક પછી તો તે બન્ને પ્રકારની નોટો પર ૧ ટકા કરતાં પણ ઘટી ગયું હતું. કેશ પર આધારિત લાખો ગ્રાહકોને મદદરૂપ થવા રિટેલરો ચલણી નોટો સ્વીકારી શકે તેવો આ સંશોધનથી તેમનામાં વિશ્વાસ આવવો જોઈએ.
કન્ઝ્યુમર ગ્રૂપ Which?ના ગેરાથ શોએ જણાવ્યું કે ખાસ કરીને અશક્ત અથવા છૂટાં છવાયા રહેતા ગ્રાહકો માટે ડિજીટલ પેમેન્ટ વિકલ્પ નથી હોતો. તેમને અલગ રાખવામાં ન આવે તે મહત્ત્વનું છે. .