ચેરિટી ફંડ અંગત ખાતામાં જમા કરનારા બે પૂર્વ ટ્રસ્ટી ગેરલાયક

Wednesday 30th December 2020 01:45 EST
 

લંડનઃ મ્યાંમાર અને બાંગ્લાદેશના રોહિંગ્યા શરણાર્થીઓને સહાય માટે GoFundMe પર ફંડરેઈઝિંગ પેજ શરૂ કરનારા મોહમ્મદ હસનત અને મિસ રુક્સાના અલીને ચેરિટી કમિશને ગેરરીતિ આચરવા બદલ ગેરલાયક ઠેરવ્યા હતા. ચેરિટીએ હાથ ધરેલી તપાસમાં જણાયું હતું કે ફંડમાં જે નાણાં ડોનેશનમાં અપાયા હતા તે છ વ્યક્તિગત બેંક ખાતા અને પે પાલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. આ બન્નેએ પેજ શરૂ કર્યા હતા પરંતુ, ચેરિટી તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું અથવા તો ખાસ આ ફંડ માટે કોઈ બેંક એકાઉન્ટ ખોલાવ્યું  ન હતું. તપાસ બાદ તેમણે એકઠા કરેલા ૧૯૬,૫૨૮.૫૮ પાઉન્ડ રોહિંગ્યા શરણાર્થીઓને મદદ કરતી બે ચેરિટીને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ચેરિટી કમિશને ૨૦૧૮માં નિયમાનુસાર તપાસ શરૂ કરી હતી અને તાજેતરમાં તેના તારણો પ્રકાશિત કર્યા હતા. ગેરરીતિ અથવા ગેરવ્યવસ્થા થયાનું જણાયા પછી કમિશને બન્ને ટ્રસ્ટીઓને ભવિષ્યમાં ટ્રસ્ટી અથવા સીનિયર મેનેજર બનવા માટે ગેરલાયક ઠેરવ્યા હતા. કમિશન દ્વારા જણાવાયું હતું કે લઘુતમ આવકની સપાટીથી ઉપર હોવા છતાં, તેમણે ફંડનું ચેરિટી તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું. ફંડમાં કોઈ ફાઈનાન્સિયલ કન્ટ્રોલ પણ ન હતો.  
હંગામી ઉકેલ તરીકે નાણાં વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરાયા હોય તે કદાચ સ્વીકારી શકાય પરંતુ, તેનો ઉપયોગ ઘણાં લોકો દ્વારા થતો હોવાથી નાણાં કેવી રીતે વપરાયા તે શોધવું મુશ્કેલ હતું. ચેરિટેબલ ફંડની ૬૮,૭૪૮.૮૧ પાઉન્ડની રકમનો યોગ્ય હિસાબ મળતો ન હતો. આ રકમ અગાઉના ટ્ર્સ્ટીઓ દ્વારા ચેરિટી સિવાયના ખાનગી ખર્ચ માટે વપરાઈ હોય તેવું લાગે છે. ટ્રસ્ટીઓએ તપાસમાં જણાવ્યું હતું કે ૧૧૫,૩૪૪.૯૨ પાઉન્ડ ચેરિટેબલ પ્રવૃત્તિઓ પાછળ ખર્ચાયા હતા. તેમાં ટ્રસ્ટીઓ વચ્ચેની ઈન્ટરનલ ટ્રાન્સફરનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter