લંડન - એચએમ ઇન્સ્પેક્ટોરેટ ઓફ કોન્સ્ટેબ્યુલરીના વડાએ આરોપ મૂક્યો છે કે છેલ્લા 3 વર્ષમાં લાયકાત વિનાના સેંકડો લોકોની પોલીસમાં ભરતી કરાઇ છે. મેટ પેર્રે જણાવ્યું હતું કે, ભરતી કરાયેલા ઘણા અધિકારીઓએ તેમની અરજીઓમાં તેમને અગાઉ કોઇ કેસમાં દોષી ઠેરવાયા હોય અથવા તો તેમના અપરાધીઓ સાથેના સંબંધોનો ઉલ્લેખ કર્યો નથી. કલંકિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિને પોલીસમાં ભરતી થતાં આપોઆપ રોકી શકાતી નથી પરંતુ તે યોગ્ય પણ નથી. સવાલ એ છે કે જ્યાં પણ શંકા હોય ત્યાં આ પ્રકારના લોકો પર નજર રાખવા માટે પગલાં લેવા જોઇએ. પરંતુ આ પ્રકારની કોઇ કાર્યવાહી કરાતી નથી. આ બાબત સમગ્ર પોલીસ બેડામાં જોવા મળી રહી છે. આપણે હંમેશા પોલીસને તેમની પ્રાથમિકતા અંગે પડકાર આપતા રહીએ છીએ પરંતુ મને લાગે છે કે પોલીસ વિભાગમાં આ પ્રકારના લોકોની ભરતી ન કરાય તે અત્યંત મહત્વનુંછે. અત્યારે સ્થિતિ એવી છે કે દર 10માંથી 1 પોલીસ કર્મચારી પોલીસ વિભાગમાં રહેવાને લાયક નથી. છેલ્લા 3 વર્ષમાં એવા સેંકડો લોકો પોલીસ વિભાગમાં જોડાયાં છે જેઓ પોલીસ વિભાગમાં હોવા જોઇએ નહીં.