લંડનઃ લોકો અને ખાસ કરીને બાળકો અને કિશોરોમાં વધતી સ્થૂળતાને કાબૂમાં લેવાના મહત્ત્વપૂર્ણ પગલાંમા ૨૦૨૩થી બ્રિટનમાં જંક ફૂડની જાહેરાત ઓનલાઈન નહિ દર્શાવી શકાય. આ ઉપરાંત, ટેલિવિઝન પર તેનું પ્રસારણ સવારના ૫.૩૦ કલાકથી રાતના ૯ કલાકના ગાળામાં નહિ કરી શકાય. લાઇવ અને ઓન ડિમાન્ડ કાર્યક્રમમાં પણ આવી જાહેરાત પર પ્રતિબંધ રહેશે. આ કવાયત આગામી વર્ષના અંત સુધી શરૂ થઈ જશે.
હેલ્થ એન્ડ સોશિયલ કેર ડિપાર્ટમેન્ટના આ નિર્ણયની અસર ચોકલેટ, બર્ગર્સ, બ્રેકફાસ્ટ સીરિયલ્સ, સોફ્ટ ડ્રિંક્સ, કેક્સ, બિસ્કિટ્સ, ગળ્યાં જ્યૂસ, મીઠાઈ, પિત્ઝા. ચિપ્સ અને આઈસક્રીમ સહિતના ઉત્પાદનોની જાહેરાતો પર થશે. જોકે, ૨૫૦થી ઓછા કર્મચારી ધરાવતી કંપનીઓને આ પ્રતિબંધની અસર નહિ થાય જેમાં સ્થાનિક કરી હાઉસીસ, પિઝેરિયાઝ અને મીઠાઈ બનાવનારાનો સમાવેશ થશે.
બ્રિટનમાં સ્થૂળતાની સમસ્યા ઝડપથી વધી રહી છે અને કોરોનાથી વધુ મૃત્યુનું એક કારણ પણ સ્થૂળતા છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ સમસ્યાને પ્રાથમિકતા આપી છે. તેમણે એપ્રિલ ૨૦૨૧થી જંક ફૂડ પર એક સાથે એક મફતની ઓફર પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
બ્રિટિશ બાળકો સૌથી વધુ સ્થૂળઃ સ્વાસ્થ્યને જોખમ
બ્રિટનના એનએચએસ અનુસાર દેશની ૬૦ ટકા વયસ્ક વસતી સ્થૂળતા સામે ઝઝૂમી રહી છે. ૩માંથી ૧ બાળક પ્રાથમિક સ્કૂલ છોડતી વખતે ભારે સ્થૂળ થઈ ચૂક્યું હોય છે. હાલના સમયે બ્રિટનનાં બાળકોમાં સર્વાધિક સ્થૂળતા છે. ૧૧ વર્ષનાં ૫ બાળકોમાંથી એકનું વજન વધારે હોય છે. દેશમાં ૧.૧૧ લાખ બાળકો ગંભીર સ્થૂળતાની લપેટમાં છે. તેમને ડાયાબિટીસ, હાર્ટ અને સ્ટ્રોક આવી શકે છે. આ સમસ્યાને કાબૂમાં લેવા ૨૦૧૮માં શુગર ટેક્સ લગાવાયો હતો. રોયલ કોલેજ પીડિયાટ્રિક્સના નિષ્ણાતો કહે છે કે હજુ પણ દૈનિક જરૂરિયાતની ૭૦ ટકા ખાંડ નાસ્તાના એક બાઉલમાં હોય છે જેના પર નિયંત્રણ જરૂરી છે.
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના સીઈઓ કાર્માઈન ગ્રિફિથ અનુસાર આ પ્રકારના પ્રતિબંધ બાળકોને જંક ફૂડની જાહેરાતોના પ્રભાવથી બચાવવાની દિશામાં સાહસિક અને અત્યંત સકારાત્મક પગલું છે. કિશોર અને બાળકો જે કન્ટેન્ટ જુએ છે તેની અસર તેમના દ્વારા પસંદ કરાયેલા વિકલ્પો પર થાય છે. બ્રિટનના ઓબેસિટી હેલ્થ એલાયન્સના વિશ્લેષણ અનુસાર આવી જાહેરાતો પર પ્રતિબંધથી બાળકોની ખાણી-પીણીથી ૧૫૦ મિલિયન ચોકલેટ અને ૪૧ મિલિયન ચીઝબર્ગર હટાવવાનો ફાયદો મળી શકે છે.