લંડનઃ કોરોના વાઈરસને પગલે સર્જાયેલી સ્થિતિમાં નાગરિકોને અત્યંત જરૂરી ના હોય ત્યાં સુધી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ નહિ કરવા તાકિદ કરવામાં આવી છે. નાગરિકોને જાહેર પરિવહનના સાધન ટ્રેન, ટ્રામ અને બસોનો ઉપયોગ નહિ કરવા સૂચન કરાયું છે જેથી કોરોના વાઈરસનો પ્રસાર થતો અટકે અને આ મહામારીના દર્દીઓની સંખ્યા વધે નહિ.
વેસ્ટ મીડલેન્ડ્સના મેયર એન્ડી સ્ટ્રીટે કહ્યું હતું કે નાગરિકોએ ખરેખર તો જ્યાં સુધી આવશ્યક ના હોય ત્યાં સુધી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ ટાળી મુસાફરી પણ ના કરવી જોઇએ.
જે વ્યક્તિઓ આવશ્યક સેવા સાથે સંકળાયેલા છે અથવા જીવનજરૂર વસ્તુઓ લઇ જઇ રહ્યાં છે કે ભોજન અને દવા લઇ જઇ રહ્યાં છે તેમને જ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા દેવાશે.
આ બાબતે ટ્રાન્સપોર્ટ ફોર વેસ્ટ મિડલેન્ડ્સ દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટ ઓપરેટરો સાથે મળીને એક સંયુક્ત મુસાફરી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેનો હેતુ નેશનલ હેલ્થ સર્વિસ સ્ટાફને રક્ષણ આપવાની સાથે અન્ય જરૂરી સેવાના કર્મીઓનું જીવન બચાવવાનો પણ છે. વહેલી સવારથી લઇને મોડી રાત સુધી જરૂરી સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને બસ, ટ્રેન કે ટ્રામ મળી રહે તેવું આયોજન કરાયું જેથી તેઓ પોતાના ગંતવ્ય સ્થળે પહોંચી શકે. કેટલાક રૂટ પર બસો અને ટ્રેનોની સંખ્યા ઘટાડી દેવાઈ છે પરંતુ વહેલી સવારે અને મોડી રાતની છેલ્લી સેવા ચાલુ રખાઈ છે.