જહોન્સન અને જુન્કરની મંત્રણા નિષ્ફળઃ નો-ડીલ બ્રેક્ઝિટનું જોખમ વધ્યું

Tuesday 17th September 2019 10:18 EDT
 

લંડનઃ બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને યુરોપિયન કમિશનના પ્રમુખ જીન-ક્લોડ જુન્કર વચ્ચેની મંત્રણામાં કોઇપણ જાતની સફળતા મળી નથી. યુરોપિયન સંઘે કહ્યું હતું કે બ્રિટને યુરોપિયન સંઘમાંથી નીકળવા અમલ કરી શકાય એવી કોઇ જ દરખાસ્ત કરી નથી. જ્હોન્સન અને જીન-ક્લોડ જુન્કર વચ્ચેની બેઠક કોઇ પણ જાતના નિષ્કર્ષ વગર પુરી થઇ હતી. મંત્રણામાં નોર્ધર્ન આયરલેન્ડ સરહદનો કોઇ વિકલ્પ રજૂ કરાયો ન હતો.

બ્રિટિશ નેતાએ આ વાતને ફગાવી હતી. જો કે જહોન્સને તો બ્રિટનને આિર્થક બ્લોકમાંથી ૩૧ ઓકટોબરે નીકળવાની જાહેરાત કરી જ હતી, પરંતુ બ્રિટિશ પાર્લામેન્ટે તેમને પહેલા બ્રસેલ્સ સાથે કોઇ કરાર કર્યા વગર આગળ નહિ વધવા મતદાન થકી આદેશ આપેલો છે. પોતાની જાતને કોમિકબુકના એક પાત્ર હલ્ક સાથે સરખાવતા જહોન્સને લકઝમ્બર્ગમાં જુન્કર સાથે બપોરના ભોજનનો આનંદ માણ્યો હતો.

બ્રેક્ઝિટના વિરોધીઓ અને વેપારી વર્ગ કહે છે કે કોઇ પણ જાતના કરાર વગર યુરોપિયન સંઘમાંથી નીકળતા બ્રિટનને ભારે નુકસાન થશે અને આર્થિક ઉથલપાથલ થશે, કારણ કે બ્રિટન ૪૬ વર્ષના સાથ પછી યુરોપિયન સંઘ સાથે ખુલ્લા વેપારના સબંધોનો અંત લાવશે.

ડાઉનિગં સ્ટ્રીટ દ્વારા લકઝમ્બર્ગની મુલાકાતને ૧૭ ઓકટોબરની યુરોપિયન સંઘની બેઠક પહેલાં સમયસર નીકળવાના પ્રયાસનો એક ભાગ ગણાવી હતી. એમણે આગ્રહ કર્યો હતો કે બેઠક સકારાત્મક રહી હતી અને બંને પક્ષના મંત્રણાકારો વચ્ચે દરરોજ બેઠક યોજવા સંમત થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter