લંડનઃ લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તરને લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ ખાતે એક સમારોહમાં માનદ્ ડી.લિટ. (ડોક્ટર ઓફ લિટરેચર) પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં તેમની સાથે પત્ની અને અભિનેત્રી શબાના આઝમી તથા અભિનેતા-દિગ્દર્શક પુત્ર ફરહાન અખ્તર પણ હાજર હતા.
જાવેદ અખ્તરે આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં કહ્યું કે જ્યારે આવો એવોર્ડ આપવામાં આવે છે ત્યારે એ ન ભૂલવું જોઈએ કે સન્માન કલા માટે છે, કલાકાર માટે નથી. ઘણા લોકો વિચારે છે કે વિજ્ઞાન અને ટેક્નોલોજીના સમયમાં કવિતાને શા માટે માન આપવું જોઈએ. હું માનું છું કે કવિતા શું છે તે વિશે વિચારવું આપણા માટે મહત્વપૂર્ણ છે. માત્ર છંદથી કવિતા નથી બની જતી. સારી કવિતાનો જન્મ વિરોધાભાસમાં થાય છે. આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં તર્ક અને કારણ શોધતાં પહેલા નિષ્કર્ષ પર પહોંચીએ છીએ.