લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પૂર્વ મુખ્ય સલાહકાર ડોમિનિક કમિંગ્સના દાવાને સાચો માનીએ તો જ્હોન્સન આગામી ચાર વર્ષ (સંભવતઃ ૨૦૨૫ સુધી)માં વડા પ્રધાનપદ છોડી દેશે. કમિંગ્સનું કહેવું છે કે જ્હોન્સને પોતાના પદત્યાગનું આયોજન કરી લીધું છે. કમિંગ્સે કહ્યું છે કે જ્હોન્સન લાંબો સમય સુધી સત્તા ભોગવે રાખવાના મતમાં નથી. બોરિસના કહેવા અનુસાર તો ‘વડા પ્રધાન બનવું ભારે મહેનતનું અને દરરોજ રનવે પર જમ્બો જેટ ખેંચી લાવવા સમાન કાર્ય છે.’ જોકે, વડા પ્રધાનના પ્રવક્તાએ કમિંગ્સના દાવાઓ ફગાવી દીધા છે.
વડા પ્રધાન જ્હોન્સનના હકાલપટ્ટી કરાયેલા પૂર્વ મુખ્ય સલાહકાર ડોમિનિક કમિંગ્સે પોતાના બ્લોગમાં એવો દાવો કર્યો છે કે જ્હોન્સન આગામી ચાર વર્ષમાં વડા પ્રધાન પદ છોડી દેશે કારણકે તેઓ માને છે કે ‘દેશને ચલાવવો તે દરરોજ જમ્બો જેટને રનવે પર ખેંચી લાવવા સમાન કાર્ય’ છે. કમિંગ્સે એમ પણ લખ્યું છે કે અન્ય વડા પ્રધાનોથી વિપરીત જ્હોન્સન આગામી ચૂંટણી પછીના બે વર્ષમાં હોદ્દો છોડવાનું આયોજન ધરાવે છે. તેઓ વડા પ્રધાનપદે ૧૧ વર્ષની સેવા આપનારાં અને સતત સત્તા પર રહેવાની ઈચ્છા દર્શાવનારાં માર્ગારેટ થેચરથી વિપરીત ‘સતત સત્તા પર રહેવામાં નહિ’, નાણા બનાવવા અને મોજ કરવામાં માને છે.
જો કમિંગ્સના દાવાને સાચો માનીએ તો જ્હોન્સન ૨૦૨૫ સુધીમાં રાજીનામું આપી શકે છે. જહોન્સને ૨૦૧૯ની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા પછી આગામી ચૂંટણી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં યોજાઈ શકે છે. જોકે, કેટલાક ટોરી સાંસદોના જણાવ્યા અનુસાર ટોરી પાર્ટી કોવિડ વેક્સિનની સફળતાનો ફાયદો મેળવી શકે તેમજ અનિવાર્ય ટેક્સ વધારા કરવા પડે તે પહેલા ૨૦૨૩માં ચૂંટણી યોજી શકે છે.
ડેઈલી મેઈલ અખબારના અહેવાલો મુજબ વિશ્વસનીય સૂત્રોએ જ્હોન્સનને ટાંકતા કહ્યું હતું કે,‘ આ કામગીરી ભારે મહેનતની છે. તમારી પીઠ પર ચોકઠું (harness) લગાવી મહાકાય ૭૪૭ને રનવે પર ખેંચવા જેવું કામ છે. દરરોજ સવારે તમે ઉઠી જાવ છો અને ખેંચવાનું ચાલુ કરવું પડે છે. હું માર્ગારેટ થેચર અને બ્લેરની માફક સતત ખેંચવા ઈચ્છતો નથી. હુ આ પાર્લામેન્ટને પૂર્ણ કરીશ, ફરીથી જીતીશ અને થોડા સમયમાં આગળ વધી જઈશ. હું ફરી લખવા, મોજ માણવા અને નાણા બનાવવા માટે વધુ રાહ જોવા માગતો નથી.’ અન્ય સૂત્રે જણાવ્યું હતું કે જહોન્સન લેખક તરીકે પોતાની પ્રતિષ્ઠાને જાળવી રાખવામાં મક્કમ છે અને તેમને લાગે કે ભાષણો ઉતરતી કક્ષાના છે તો સહાયકોએ તેમના માટે તૈયાર કરેલા પ્રવચનોને ફગાવી દેશે. તેમનો પ્રથમ પ્રેમ રાજકારણ નહિ, લેખનકાર્ય છે. જ્હોન્સને ૨૦૧૯ની ચૂંટણી જીત્યા પછી શેક્સપિયર વિશે પુસ્તક લખવા કામમાંથી થોડો સમય વિરામ લીધો હતો.