લુટન સાઉથના ટોરી ઉમેદવાર પરવેઝ અખ્તર દ્વારા વડા પ્રધાન જ્હોન્સન મુસ્લિમવિરોધી પૂર્વગ્રહને ઉશ્કેરી રહ્યા હોવાના આક્ષેપ કરાયાના પગલે બોરિસ જ્હોન્સને કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઈસ્લામોફોબિયા મુદ્દે લોકોની માફી માગી છે. બોરિસને કોર્નવોલની મુલાકાત દરમિયાન પાર્ટીમાં ઈસ્લામોફોબિયા મુદ્દે તેઓ માફી માગશે કે કેમ તેવો પ્રશ્ન કરાયો હતો. તેમણે કહ્યું હતું કે આ અસહનીય છે અને એક દેશ તરીકે આપણે આવી બાબતો ચલાવી લેતા નથી. પાર્ટીમાં ઈસ્લામોફોબિયા મુદ્દે સ્વતંત્ર ઈન્ક્વાયરી કરાવાશે.
જ્હોન્સન ઈસ્લામોફોબિયા મુદ્દે માફી માગનારા પ્રથમ રાજકારણી છે. આનાથી વિપરીત, લેબરનેતા જેરેમી કોર્બીને ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં એન્ટિ-સેમેટિઝમ મુદ્દે માફી માગવાનો વારંવાર ઈનકાર કર્યો હતો.
જ્હોન્સને ગયા વર્ષે ધ ટેલિગ્રાફમાં પોતાની કોલમમાં બુરખા પહેરનારી સ્ત્રીઓ ‘બેન્ક રોબર્સ’ અને ‘લેટરબોક્સીસ’ જેવી દેખાતી હોવાનું વર્ણન કર્યું હતું, જે બદલ તેમની આકરી ટીકા થઈ હતી. આ ઉપરાંત, ટોરી પાર્ટીમાં ઈસ્લામોફોબિયા મુદ્દે સ્વતંત્ર ઈન્ક્વાયરી યોજવામાં નિષ્ફળ નીવડ્યા હતા. ટોરી ઉમેદવાર પરવેઝ અખ્તરે મુસ્લિમ મહિલાઓ વિશે કરાયેલી ટીપ્પણીઓ બાબતે વડા પ્રધાને માફી માગવી જોઈએ તેવી માગણી કરી હતા. અખ્તરે કહ્યું હતું કે તેઓ ૨૦૦૫માં પાર્ટીમાં જોડાયા પછી તેમના વિરુદ્ધ મુસ્લિમવિરોધી ધિક્કારની લાગણીના બે અનુભવ તેમને થયા હતા.