લંડનઃ ઇમિગ્રન્ટ્સને નવા ડિજિટલ વિઝા મેળવી લેવા અપાયેલી ડેડલાઇનના કારણે દેશમાં વિન્ડરશ સ્કેન્ડલનું પુનરાવર્તન થાય તેવી ચેતવણી વકીલો અને માઇગ્રન્ટ્સ રાઇટ એક્ટિવિસ્ટો દ્વારા અપાઇ છે. 2024ના અંત સુધીમાં યુકેમાં રહેવાની પરવાનગી ધરાવતા યુરોપિયન સંઘ સિવાયના 5 લાખથી વધુ ઇમિગ્રન્ટ્સને તેમની ફિઝિકલ બાયોમેટ્રિક રેસિડેન્સ પરમિટના સ્થાને ઇ-વિઝા મેળવી લેવો પડશે. ડિજિટલ ઇ-વિઝા તેમના યુકેમાં વસવાટ, મકાન ભાડે મેળવવા, નોકરી કરવા અને બેનિફિટ્સ મેળવવામાં આધારભૂત પુરાવો ગણાશે.
ડિજિટલ ઇ-વિઝા મેળવવા માટે ઇમિગ્રન્ટે યુકે વિઝા એન્ડ ઇમિગ્રેશન ડિજિટલ એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. હોમ ઓફિસે આ માટે તાજેતરમાં ડિજિટલ એકાઉન્ટ ખો
લવા માટે બીઆરપી હોલ્ડર્સના એક ટ્રાયલ ગ્રુપને આમંત્રણ આપ્યું હતું. પરંતુ મોટાભાગના માઇગ્રન્ટ્સ હોમ ઓફિસ સાથે સંપર્કમાં રહેવા તેમના સોલિસિટરના ઇ-મેલ એડ્રેસનો ઉપયોગ કરતાં હોવાથી આ આમંત્રણ ઇમિગ્રન્ટ્સને બદલે તેમના સોલિસિટર પાસે પહોંચ્યાં હતાં. ડેટા સિક્યુરિટીના કારણોસર મોટાભાગના આમંત્રણોમાંથી વ્યક્તિગત વિગતો કાઢી નાખવામાં આવી હોવાથી વકીલોને એ ખબર જ પડતી નથી કે તેમના હજારો ક્લાયન્ટમાંથી કોના માટે આ ઇ-મેલ મોકલવામાં આવ્યો છે. તેના કારણે તેઓ તેને ક્લાયન્ટને પણ મોકલી શક્તાં નથી.
ઇમિગ્રેશન લો પ્રેકટિશનર એસોસિએશનના લીગલ ડિરેક્ટર ઝો બેન્ટલમેન કહે છે કે 31 ડિસેમ્બર 2024 પછી ઇ-વિઝા ન ધરાવતી વ્યક્તિ યુકેમાં તેનું સ્ટેટસ પૂરવાર કરી શકશે નહીં. હોમ ઓફિસે લાખો ઇમિગ્રન્ટ્સને વિન્ડરશ જનરેશનના સભ્યો જેવી સ્થિતિમાં ધકેલી દીધાં છે. તેમની પાસે સ્ટેટસ તો છે પરંતુ પૂરવાર કરી શક્તાં નથી. હોમ ઓફિસ દ્વારા મોકલાયેલા સંદેશા યોગ્ય વ્યક્તિઓ પાસે ન પહોંચવાના કારણે 2024ના અંતે હજારો લોકો એવા હશે જેમણે ઇ-વિઝા માટે અરજી કરી નહીં હોય.
આ ઊનાળાથી કોઇપણ બીઆરપી હોલ્ડર આમંત્રણ વિના પણ યુકેવીઆઇ ડિજિટલ એકાઉન્ટ માટે અરજી કરી શકશે. પરંતુ ઇમિગ્રેશન લોયરોને ભય છે કે સરકાર દ્વારા આયોજિત પબ્લિસિટી અભિયાન છતાં ઘણા એવા વૃદ્ધો અથવા ગરીબો હશે જેઓ અંગ્રેજી બોલી શક્તાં નથી અથવા તો જેમની પાસે ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી તેમને આ અભિયાનની માહિતી નહીં મળે.
હ્યુમન રાઇટ ચેરિટી હેલેન બામ્બર ફાઉન્ડેશનના વેલ્ફેર મેનેજર ઝો ડેક્સટર કહે છે કે સરકારની યોજના અંધાધૂંધી લાવશે. ઓળખનો પુરાવો ડિજિટલ કરવા માટેના હોમ ઓફિસના પગલાંને કારણે લાખો ઇમિગ્રન્ટ્સ પર મોટો આર્થિક બોજો પણ પડશે. હોમ ઓફિસે ટેકનીકલ નિષ્ફળતાઓ માટે પણ કોઇ પગલાં લીધાં નથી.
હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઇ-વિઝા કોઇપણ વ્યક્તિના યુકે ઇમિગ્રેશન સ્ટેટસનું સુરક્ષિત પ્રમાણ છે. તેના કારણે તેની સુરક્ષામાં વધારો થશે અને સરકારની તિજોરી પર બોજો પણ ઘટશે. અમે 2025 સુધીમાં તમામ ફિઝિકલ દસ્તાવેજોને ડિજિટલ બનાવવા માગીએ છીએ.


