લંડનઃ અટકમાં લેવાયેલા લોકો પૈકી માત્ર અડધાથી પણ ઓછાં લોકો તેમનો છૂટકારો થયા બાદ દેશ છોડી ગયા હોવાનું જણાતા હોમ ઓફિસની ભારે ટીકા થઈ રહી છે. વિદેશી નાગરિકોને અટકમાં રાખવાની સત્તાનો યોગ્ય ઉપયોગ થયો હતો કે કેમ તે વિશે પણ પ્રશ્રો ઉભા થઈ રહ્યા હોવાનું બ્રિટિશ સાંસદોએ સૂચવ્યું હતું.
સત્તાવાર આંકડા મુજબ ગયા વર્ષે ૨૫,૪૮૭ વ્યક્તિઓનો છૂટકારો થયો હતો. તેમાંથી ૪૪ ટકા એટલે કે ૧૧,૧૫૨ લોકો યુકેથી બીજા દેશમાં ગયા હતા. લગભગ ૧૪,૦૦૦ (૫૫ ટકા) અટાકાયતીઓને જામીન પર છોડવામાં આવ્યા હતા, ૪૭ને લીવ ટુ એન્ટર અથવા રિમેઈન મંજૂર કરાયા હતા અને ૩૪૩ને વિવિધ પ્રકારના કેસો આવરી લેતી ‘અન્ય’ શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા.

