લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેની હત્યાનાં ષડ્યંત્રને સુરક્ષા એજન્સીએ નિષ્ફળ બનાવી ૨૦ વર્ષના નઇમુર ઝકરિયા અને ૨૧ વર્ષના આકિબ ઇમરાન એમ બે આરોપીની ધરપકડ કરી હતી. થેરેસાની હત્યા માટે તેમનાં નિવાસ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ પર આઈઈડીનો ઉપયોગ કરીને આત્મઘાતી હુમલાની યોજના ઘડી હતી. આ સમયે સર્જાનારી અંધાધૂંધીનો ફાયદો લઈને થેરેસાની હત્યા કરવાની યોજના હતી. થેરેસાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વીતેલાં એક વર્ષમાં બ્રિટનમાં આ નવમું કાવતરું નિષ્ફળ બનાવાયું હતું.
પ્રવક્તાએ જણાવ્યા મુજબ થેરેસા લાંબા સમયથી ત્રાસવાદીઓનાં નિશાન પર છે, તેને કારણે થેરેસાનાં નિવાસે સુરક્ષામાં કિલ્લેબંધી કરવામાં આવી છે.
બ્રિટનમાં વીતેલાં ચાર વર્ષમાં સિક્યોરિટી એજન્સીઓએ ૨૨ ત્રાસવાદી ષડ્યંત્રોને નિષ્ફળ બનાવ્યાં છે. ૫૦૦ જેટલી તપાસમાં ૨૦ હજાર શંકાસ્પદની ઓળખ કરવામાં આવી હતી. વીતેલાં એક વર્ષમાં ત્રાસવાદી ગતિવિધિઓએ ૩૬ લોકોનો ભોગ લીધો છે.