લંડનઃ યુકેમાં કેન્સરગ્રસ્ત લોકોની સંખ્યા વધી રહી છે. કેન્સર રિસર્ચ યુકે સંસ્થાના રિપોર્ટ અનુસાર દર 80 સેકન્ડે એક વ્યક્તિને કેન્સરનું નિદાન થાય છે. દર વર્ષે 403,000થી વધુ વ્યક્તિને કેન્સરના રોગનું નિદાન કરવામાં આવે છે. NHS કેન્સરના રોગીઓની સારસંભાળની વધતી માગને પહોંચી વળવાનો સંઘર્ષ કરે છે. સમગ્ર યુકેમાં કેન્સર વેઈટિંગ ટાઈમ સૌથી ખરાબ રહ્યો છે.
કેન્સરના કેસીસની સંખ્યા પ્રતિ 100,000 લોકોએ વધીને 620 થઈ છે, જે એક દાયકા અગાઉ 610ની હતી. કેન્સરના વધતા નિદાન પાછળનું મુખ્ય કારણ વધતી વૃદ્ધ વસ્તી છે અને સ્થુળતા અને વૃદ્ધ થતા લોકોમાં કેન્સર થવાનું જોખમ વધુ રહે છે. જોકે, મૃત્યુદર ઘટ્યો છે તેમજ એક દાયકા કે તેથી વધુ જીવનારા કેન્સર પેશન્ટનું પ્રમાણ પણ વધ્યું છે. આમ છતાં, કેન્સર સંબંધિત સેવાઓ પર દબાણના કારણે આ પ્રગતિ પણ અટકી હોવાનું કેન્સર રિસર્ચ યુકે જણાવે છે.
કેન્સર ચેરિટીના જણાવ્યા અનુસાર 2025માં સમગ્ર યુકેમાં આશરે 107,000 કેન્સર પેશન્ટોએ તેમની સારવાર શરૂ કકરાય તે પહેલા 62 દિવસથી વધુ સમય રાહ જોવી પડી હતી.

