લંડનઃ કોરોના વાઈરસના આક્રમણનું પહેલું મોજું સમાપ્ત થયું નથી ત્યાં તો બીજા મોજાની ચેતવણીઓ આવવા લાગી છે. વાઈરસનું બીજું મોજું ન આવે તો પણ NHS હોસ્પિટલોમાં ઓપરેશન્સ કરાવવા માટે પેશન્ટ્સે બે વર્ષ રાહ જોવી પડે તેવી શક્યતા છે. સપ્ટેમ્બર સુધીમાં હોસ્પિટલ્સનો સર્જરી બેકલોગ ૬૫૦,૦૦૦થી વધુ સુધી પહોંચી જશે. કોવિડ-૧૯ના દર્દીઓના ધસારાને ધ્યાનમાં રાખી કારણે તત્કાળ જરુરી ન હોય તેવી સર્જરી એપ્રિલથી ત્રણ મહિના માટે મુલતવી રખાઈ હતી.
બર્મિંગહામ યુનિવર્સિટીના સંશોધન અનુસાર કોવિડ -૧૯ના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં ઈલેક્ટિવ સર્જરીઝ મુલતવી રખાતા બિનજરુરી ઓપરેશન્સમાં ૭૨ ટકાનો ઘટાડો જોવાયો હતો. કોવિડ-૧૯ના કારણે હોસ્પિટલોએ ૯૫,૦૦૦થી વધુ દર્દીઓની સારવાર કરવી પડી હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે હવે ઓપરેશન્સ ચાલુ કરાશે ત્યારે હેલ્થ સર્વિસને ૪ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરવો પડશે કારણકે સર્જન્સના માથે કામના કલાકો વધી જવાથી તેમને વધુ મહેનતાણું ચૂકવવું પડશે.
યુનિવર્સિટીની ટીમે સર્જરીઝમાં વિલંબ માટે કોવિડ-૧૯ની અસરો તપાસી હતી અને જણાવ્યું હતું કે જો વાઈરસનું બીજું મોજું આવશે તો બેકલોગમાં ભારે વધારો થશે અને વિલંબ વધી જશે. રિસર્ચ ફેલો ડો. ડિમિત્રી નેપોગોડિવે કહ્યું હતું કે કેન્સર સહિતના પેશન્ટ્સને લાંબી રાહ જોવાની થાય તો તેમની હાલત બગડી શકે છે અને ઘણા ટ્યુમર્સનું ઓપરેશન શક્ય પણ નહિ રહે. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે એપ્રિલથી સ્ટાન્ડર્ડ ઓપરેશન્સ મુલતવી રાખવાનો નિર્ણય યોગ્ય જ હતો. તેમણે કોવિડ અને નોન-કોવિડ હોસ્પિટલો અલગ પાડવા અથવા કોરોના વાઈરસ સાથે સંલગ્ન ન હોય તેવી ખાનગી સર્જરીઝનો ઉપયોગ કરવાની તરફેણ કરી હતી. હવે સારવાર હેઠળ કોરોના દર્દીઓની સંખ્યા ઘટી હોવાથી મુલતવી રખાયેલા ઓપરેશન્સ પર ધ્યાન આપી શકાશે. બ્રિટિશ જર્નલ ઓફ સર્જરીમાં પ્રકાશિત અભ્યાસના તારણો અનુસાર મહામારીના અવરોધના કારણે દર સપ્તાહે અંદાજે ૨.૪ મિલિયન સર્જરી રદ થતી હતી.