લંડનઃ કોરોના વાઈરસના પરિણામે તાળાબંધી અને ફ્લાઈટ્સ રદ કરી દેવાતા આશરે દસ લાખ બ્રિટિશ નાગરિકો વિદેશમાં રઝળી પડ્યા છે અને ઘેર પાછા ફરવા માટે આસમાને પહોંચેલા વિમાનભાડાંનો સામનો કરી રહ્યા છે. ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે કહ્યું છે કે બ્રિટિશરો ઘેર પરત લાવવા મોટું અભિયાન હાથ ધરવામાં આવશે અને તેઓ એરલાઈન્સ સાથે વાતચીત કરી રહ્યા છે.
આશરે દસ લાખ બ્રિટિશ નાગરિકો પેરુ, સ્પેન અને મોરોક્કો સહિત વિદેશમાં રઝળી પડ્યા છે ત્યારે સરહદો અને ફ્લાઈટ્સ સંપૂર્ણપણે બંધ થાય તે પહેલા તેઓને ઘેર પરત લાવવાનું અભિયાન હાથ ધરાશે તેમ ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું છે. ફોરેન એફેર્સ સિલેક્ટ કમિટી સમક્ષ જુબાનીમાં સેક્રેટરી રાબે જણાવ્યું હતું કે આ માટે તેમણે નવા રુટ્સ પર કોમર્શિયલ એરલાઈનો સાથે વાતચીત ચલાવી છે.
તેમણે જણાવ્યું હતું કે રજાઓ ગાળવા ગયેલા ત્રણથી ચાર લાખ અથવા તો દસ લાખ સુધી બ્રિટિશરો હજુ વિદેશમાં છે. જોકે, આંકડો ચોક્કસ નથી કારણકે વિદેશ જતા બ્રિટિશરોનું રજિસ્ટર રખાતું નથી. જોકે, પરત આવવા માગતા બ્રિટિશરો ઊંચા વિમાનભાડાંથી પણ પરેશાન છે.
સેક્રેટરી રાબે જણાવ્યું હતું કે સ્પેનના માલાગાથી એક જ દિવસમાં ૨૮,૦૦૦ બ્રિટિશ નાગરિકોએ હેલ્પલાઈન પર ફોન કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે બ્રિટિશ એરવેઝ અને ઈઝીજેટ સહિત એરલાઈનોને રઝળી પડેલા પ્રવાસીઓને બચાવવા મોરોક્કો સુધી ખાલી વિમાનો ઉડાડવા ખાસ પરવાનગી અપાઈ હતી. જોકે, મારાકેશ, ટેન્જિયર અને ફેઝ એરપોર્ટ્સ પર અરાજકતાપૂર્ણ દૃશ્યોથી પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. પેરુમાં પ્રવાસીઓએ દાવો કર્યો હતો કે ઈઝરાયેલો પોતાના નાગરિકો માટે મફત વિમાનો મોકલ્યા હતા જ્યારે, જર્મનીએ ફ્લાઈટ માટે ૯૧૮ પાઉન્ડ અને ફ્રાન્સે ૬૪૩ પાઉન્ડ ઓફર કર્યા હતા. પેરુમાં આશરે ૪૦૦ બ્રિટિશર છે. બ્રિટિશ એમ્બેસીએ યુકે માટે ચાર્ટર ફ્લાઈટમાં ઈકોનોમી ક્લાસમાં ૩૦૦૦ અને બિઝનેસ કલાસમાં ૬૫૦૦ પાઉન્ડની બેઠક ઓફર કરી હતી.