લંડન: બીબીસીના જાણીતા બ્રોડકાસ્ટર અને પત્રકાર અમોલ રાજને બ્રિટનની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા સંકેત આપ્યો છે કે તેઓ પોતાના પરિવાર સાથે ભારત સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છે. ૪૨ વર્ષીય રાજને જણાવ્યું હતું કે બ્રિટન અત્યારે અનેક મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને હવે તે અગાઉ જેવો ઉર્જાવાન રહ્યો નથી.
અમોલ રાજને જણાવ્યું હતું કે, મને ઇંગ્લેન્ડ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, પરંતુ હું ચિંતિત છું. મને શંકા છે કે શું આ મારા બાળકોના ઉછેર માટે શ્રેષ્ઠ સ્થળ છે? ૧૯૬૦ કે ૭૦ના દાયકામાં બ્રિટન વિશ્વના રાજકારણ, નાણાકીય બાબતો અને સંસ્કૃતિમાં જે પ્રભાવ ધરાવતો હતો તે હવે ઓસરી રહ્યો હોય તેવું લાગે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારત અત્યારે અત્યંત ઉત્સાહ અને ઉર્જાથી ભરેલો છે. ભારત એક એવી જગ્યા છે જ્યાં અત્યારે ઈતિહાસ રચાઈ રહ્યો છે. હું ઈચ્છું છું કે મારા બાળકો ભારતનો અનુભવ કરે અને ત્યારબાદ તેઓ પોતે નક્કી કરે કે તેમને ક્યાં સ્થાયી થવું છે.

