દુનિયામાં સૌથી વધુ ભણેશરી માણસ છે નિકોલાઓસ

Wednesday 21st February 2024 07:31 EST
 
 

લંડન: દરેક વ્યક્તિને બાળપણમાં વધુને વધુ વાચન અને લેખન અને અભ્યાસ કરવાની સલાહ મળતી હોય છે, પરંતુ ગ્રીક મૂળના નિકોલાઓસ ત્ઝેનીઓસે આ સલાહને એટલી ગંભીરતાથી લીધી કે તે વિશ્વનો સૌથી શિક્ષિત માણસ બની ગયો. બ્રિટિશ નાગરિક નિકોલાઓસ એક પ્રખ્‍યાત સંશોધક અને શિક્ષક છે, એટલું જ નહીં તે વિશ્વમાં સૌથી વધુ શિક્ષિત વ્‍યક્‍તિ હોવાનો વિક્રમ તેના નામે નોંધાયેલો છે.
કહેવાય છે કે શિક્ષણથી માણસને બુદ્ધિ અને જ્ઞાન મળે છે. શિક્ષણનો અર્થ માત્ર નૈતિક જ્ઞાન જ નહીં પરંતુ તેનો આધાર બનેલી લાયકાતો પણ છે. પુસ્‍તકોમાં જીવનના પ્રકરણો હોય છે, પરંતુ વ્‍યક્‍તિની ડિગ્રી આપણને કહે છે કે તેનું વ્‍યક્‍તિત્‍વ કેવું છે અને તેણે કેટલું શિક્ષણ મેળવ્‍યું છે. ડિગ્રી મેળવવી એ માત્ર રોજગાર માટે નથી પરંતુ તે ક્ષેત્રમાં ખરેખર શિક્ષિત હોવું જરૂરી છે. જો તમે વિશ્વના સૌથી શિક્ષિત વ્‍યક્‍તિ પર નજર નાખો તો, નિકોલાઓસ જીનિયસ ડિગ્રીની દૃષ્ટિએ વિશ્વમાં સૌથી વધુ શિક્ષિત છે.
ગ્રીક મૂળના બ્રિટિશ નાગરિક નિકોલાઓસ એક પ્રખ્‍યાત સંશોધક અને શિક્ષણવિદ્‌ છે. પબ્‍લિક હેલ્‍થ, મેડિકલ રિસર્ચ અને એજયુકેશન - આ ત્રણેય ક્ષેત્રોમાં તેઓ કામ કરે છે અને તેમના નામે ઘણી સિદ્ધિઓ નોંધાયેલી છે.
સહુ કોઇ એ જાણીને આશ્ચર્યચકિત થઇ જાય છે કે નિકોલાઓસ પાસે સાત યુનિવર્સિટીની ડિગ્રી છે, જે ડોક્‍ટરેટ ડિગ્રીની સમકક્ષ છે. વધુમાં નિકોલાઓસ ત્રણ ડોક્‍ટરલ ડિગ્રી ધરાવે છે. તેઓ સાત વૈજ્ઞાનિક સંસ્‍થાઓમાં અધ્‍યાપન સાથે સંકળાયેલા છે અને તેમને વિજ્ઞાન સંગઠનની સભ્‍યપદ પણ મળ્‍યું છે. એટલું જ નહીં, નિકોલાઓસે હાર્વર્ડ યુનિવર્સિટી અને પેરિસ યુનિવર્સિટી જેવી ઘણી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી પાંચ માસ્‍ટર ડિગ્રી મેળવી છે. તે 2024 સુધીમાં બીજી ડોક્‍ટરલ ડિગ્રી પૂર્ણ કરવાની યોજના ધરાવે છે. સાયકોલોજી અને પબ્‍લિક હેલ્‍થમાં પીએચડી ઉપરાંત, તેમણે હાર્વર્ડ મેડિકલ સ્‍કૂલ જેવી પ્રતિષ્ઠિત સંસ્‍થામાંથી ડિગ્રી પણ મેળવી છે.
નિકોલાઓસના સંશોધનની વૈજ્ઞાનિક સમુદાય અને વિશ્વ પર નોંધપાત્ર અસર પડી છે. તેમની પાસે વિવિધ ક્ષેત્રોમાં ઘણું જ્ઞાન છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, નિકોલાઓસ હાલમાં જે વિષયો પર સંશોધન કરી રહ્યા છે તે ભવિષ્‍યમાં વિજ્ઞાનના નવા ક્ષેત્રો ખોલશે.
નિકોલાઓસ ઘણી ખાનગી સંસ્‍થાઓ સાથે પણ સંકળાયેલા છે. તેમની વિવિધ સંસ્‍થાઓમાં સલાહકાર તરીકે નિમણૂક કરાઇ છે, જેમાંથી તેમને સારી એવી આવક થાય છે. બિઝનેસની સાથે સાથે તેમણે માનવશરીરનો અભ્‍યાસ અને મેડિકલ ક્ષેત્રે સંશોધન પણ કર્યું છે. આવી સ્‍થિતિમાં વિદ્યાર્થીઓથી લઈને પ્રોફેસરો સુધી દરેક તેમના રિસર્ચ પેપર વાંચવા માટે ઉત્‍સુક છે.
નિકોલાઓસને ડોક્‍ટર તરીકે કામ કરવાનો અનુભવ પણ છે. તેમણે હાર્વર્ડ મેડિકલ સ્‍કૂલમાંથી ઇમ્‍યુનોલોજી, ફાર્માકોલોજી, જિનેટિક્‍સ, કેન્‍સર જીનોમિક્‍સ અને કોવિડનો અભ્‍યાસ કર્યો. નિકોલાઓસે વિવિધ વિષયો પર 50થી વધુ સંશોધન પત્રો લખ્‍યા છે. તેમાંથી ઘણા કેન્‍સર સંબંધિત છે. તેમના સંશોધન પત્રો ઘણી વાર પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter