લંડનઃ દેશના અલગ અલગ વિસ્તારોમાં કોરોના વાઈરસથી ઈન્ફેક્શનના દરમાં ભારે તફાવત જોવાં મળ્યો છે. કિંગ્સ કોલેજ લંડનના સંશોધકોના અંદાજ અનુસાર નોર્થ ઓફ ઈંગ્લેન્ડનો ઈન્ફેક્શન રેટ લંડનની સરખામણીએ લગભગ બમણો છે. બીજી તરફ, હેલ્થ ડિપાર્ટમેન્ટના સત્તાવાર આંકડા મુજબ મંગળવારે યુકેમાં કોરાના વાઈરસથી મૃત્યુઆંક વધીને ૩૯,૦૪૫ થયો હતો જે, સોમવારના આંકડા ૩૮,૪૮૯માં ૫૫૬ મોતનો ઉછાળો સૂચવે છે. જોકે, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે મંગળવારે નવા ૧૧૧ મોતની જ જાહેરાત કરી હતી. આંકડાઓ અનુસાર ગત સપ્તાહમાં ઈંગ્લેન્ડની ૧૨ NHS ટ્રસ્ટ હોસ્પિટલોમાં કોરોના વાઈરસથી કોઈ મોત નોંધાયું નથી જ્યારે અન્ય નિષ્ણાતોએ પણ જણાવ્યું હતું કે ગત ૪૮ કલાકમાં ૬૫ ટ્રસ્ટ (૪૯.૬ ટકા)માં કોઈ મોત નોંધાયું ન હતું.
કોરોના વાઈરસ ઈન્ફેક્શન્સને ટ્રેક કરવા ૩.૭ મિલિયન લોકો દ્વારા ડાઉનલોડ કરાયેલી એપ કોવિડ સિમ્પ્ટમ સ્ટડીના આંકડાના ઉપયોગથી કિંગ્સ કોલેજ લંડનના સંશોધકો દેશભરમાં કોરોના વાઈરસના ઈન્ફેક્શન રેટનો અંદાજ બાંધી શક્યા છે. તેમને જણાયું હતું કે લંડનમાં મધ્ય ચેપદર પ્રતિ મિલિયન ૧૨૪ લોકોનો હતો જ્યારે, નોર્થ વેસ્ટમાં પ્રતિ મિલિયન ૨૧૫ તેમજ નોર્ત ઈસ્ટ અને યોર્કશાયરમાં આ દર ૨૨૫ લોકોનો હતો. આમ દેશના અલગ અલગ પ્રદેશોમાં કોરોના વાઈરસના પ્રસારમાં તફાવત સ્પષ્ટ થયો હતો. આ અભ્યાસના ડેટા અનુસાર યુકેમાં લંડન, સાઉથ ઈસ્ટ અને સાઉથ વેસ્ટમાં સૌથી ઓછાં ઈન્ફેક્શન રેટ્સ છે જ્યારે વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં આ દર સૌથી વધુ, સંભવતઃ દૈનિક પ્રતિ મિલિયને ૭૬૮નો હોઈ શકે છે. સંશોધનમાં એ પણ જણાયું છે કે યુકેમાં દૈનિક ઈન્ફેક્શન દર ૧૧,૩૦૦ જેટલો ઊંચો હોઈ શકે પરંતુ, પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા ૧,૯૩૬નો જ આંકડો અપાય છે.
હેલ્થ સાયન્સ કંપની ZOEની સાથોસાથ ચલાવાયેલા સંશોધનમાં એમ પણ સૂચવાયું છે કે દૈનિક ઈન્ફેક્શન ઘટી રહ્યા છે અને ગત સપ્તાહ કરતાં ૧૭ ટકાનો ઘટાડો જોવાયો છે.
કેસીસમાં વધારાની શક્યતા નકારાઈ
લોકડાઉન હળવું કરવાના પરિણામે કોરોના વાઈરસ કેસીસમાં ઉછાળો આવશે તેવી નિષ્ણાતોની ચેતવણીને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટે ફગાવી દીધી છે. ટોરી પાર્ટીના સાંસદો અને વિજ્ઞાનીઓએ ઉતાવળના પરિણામો વિશે ચિંતા વ્યક્ત કરી છે. નંબર ૧૦ દ્વારા જણાવાયું છે કે જો બ્રિટિશરો રોગચાળાને અટકાવવા નિશ્ચિત કરાયેલી સોશિયલ ડિસ્ટન્સિંગ ગાઈડલાઈન્સનું બરાબર પાલન કરશે તો મહત્ત્વપૂર્ણ કોરોના વાઈરસ R-rate (સંક્રમણ દર) ૧થી નીચે જ રહેશે. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું છે કે વૈજ્ઞાનિક સહમતિ એવી છે કે ઈંગ્લેન્ડમાં ગાઈડલાઈન્સ હળવી કરાયાથી સંક્રમણ દર ઊંચો જવાની શક્યતા નથી. જોકે હાલ આ દર ૦.૭ અને ૦.૯ની વચ્ચે છે અને એલર્ટની સીમાથી જોખમી રીતે નજીક છે.
કોરોનાનો ચેપ લાગ્યા પછી મંગળવારે ૧૧૧ લોકોના મોત નીપજ્યાં હતાં, જે વડા પ્રધાને ૨૩ માર્ચે લોકડાઉન લાદવાની જાહેરાત કરી તે પછી સૌથી ઓછાં દૈનિક મૃત્યુ છે. બીજી તરફ, રવિવાર અને સોમવારે જાહેર કરાતી સંખ્યા વીકએન્ડમાં મૃત્યુના પ્રોસેસિંગમાં વિલંબના કારણે ઓછી જ રહે છે.
નિયંત્રિત લોકસંપર્ક અને વેપારની છૂટ
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોરોના મહામારીના લોકડાઉનમાંથી દેશને બહાર કાઢવાના પગલાંમાં ૧લી જૂનથી ઈંગ્લેન્ડમાં છ વ્યક્તિઓ ઘરની બહાર મુલાકાત ગોઠવી શકે તેની છૂટ આપી છે. ગાર્ડન, ખાનગી આઉટડોર સ્થળોએ લોકો સામાજિક સંપર્કો વધારી શકશે જેની, સાથોસાથ પ્રાઈમરી શાળાઓ પણ ખુલશે, રીટેઈલ શોપ્સ અને વેપાર પણ ખુલી શકશે. લોકડાઉન એ રીતે હળવું કરાયું છે કે ટ્રાન્સમિશન રેટ ‘R’માં વધારો થાય નહિ. લોકોને મળવાની છૂટછાટ અપાઈ છે પરંતુ, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવાના રહેશે.
પ્રાઈમરી શાળાઓ પછી ૧૫ જૂનથી સેકન્ડરી સ્કૂલ્સ, ધોરણ ૬ અને કોલેજીસ તેમજ ધોરણ -૧૦ અને ૧૨ અને તેની સમકક્ષ અભ્યાસો શરુ કરી દેવાશે. આનાથી વિદ્યાર્થીઓને આગામી વર્ષે પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહેશે. વડા પ્રધાને સ્વીકાર્યું હતું કે કેટલીક શાળાઓ તાત્કાલિક ખોલી નહિ શકાય. દરમિયાન, આઉટડોર માર્કેટ્સ અને કાર શોરુમ્સ પણ ૧લી જૂનથી ખુલી જશે. આ સિવાય બિનઆવશ્યક રીટેઈલ, હજારો હાઈ સ્ટ્રીટ શોપ્સ, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ અને શોપિંગ સેન્ટર્સ પણ ટુંક સમયમાં ખોલી દેવાશે.