લંડનઃ પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિએ સ્ટેનફોર્ડ સ્કૂલ ઓફ બિઝનેસ ખાતે નેતૃત્વ, જીવન અને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, પૂર્વના મૂલ્યોએ અમને સત્તા, રાજનીતિ અને સંતાનોના ઉછેરમાં માર્ગદર્શન આપ્યું હતું.
રિશી સુનાકે જણાવ્યું હતું કે, સંસ્કૃત શબ્દ ધર્મ એટલે કે આપણે કોઇપણ બદલાની આશા રાખ્યા વિના અંગત જવાબદારી નિભાવવાનું શિક્ષણ આપે છે. ધર્મએ જ મને 2022માં બ્રિટિશ રાજનીતિમાં સર્જાયેલી અંધાધૂંધીમાં પગલું માંડવા પ્રેરીત કર્યો હતો. તે સમયે અસંભવ પરિસ્થિતિમાં કોઇ મહત્વાકાંક્ષી રાજનેતા જ ઝંપલાવતો પરંતુ અક્ષતાએ મને યાદ અપાવ્યું હતું કે મારો ધર્મ ઘણો સ્પષ્ટ છે.
સુનાક દંપતીએ જણાવ્યું હતું કે, અમારી પહેલી મુલાકાત અહીં જ થઇ હતી. અમારી પ્રારંભિક ચર્ચાઓમાં પણ ધર્મ, નેતૃત્વ અને મૂલ્યો કેન્દ્રસ્થાને રહેતાં હતાં.
રિશી સુનાકે કોરોના કાળમાં ચાન્સેલર તરીકે લીધેલા નિર્ણયો પર જણાવ્યું હતું કે, સ્થિતિ ગંભીર હતી ત્યારે મૂલ્યો આધારિત નિર્ણયોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. હું તે સમયે ડેટા પર આધાર રાખતો હતો પરંતુ અક્ષતાએ મને કહ્યું કે,ડેટા તમારા નિર્ણયોનો આધાર બની શકે નહીં. મૂલ્યોના આધારે જ મેં ફક્ત જીવનો જ નહીં પરંતુ આજિવિકા બચાવવા અંગેના નિર્ણય લીધાં હતાં.
અક્ષતા મૂર્તિએ જણાવ્યું હતું કે, નેતૃત્વની સાથે સફળતા અને નિષ્ફળતા પણ આવે છે. ધર્મ જાહેર જીવન માટે મહત્વનો છે. તે તમને નિરાશ થયા વિના તમારી સામે આવતી સમસ્યાઓમાં ધીરજ અને સ્પષ્ટતા સાથે વર્તવાનું શીખવે છે.
સુનાકે જણાવ્યું હતું કે, જો તમે નેતૃત્વ કરવા માગો છો તો માહિતી અને ભ્રમણાઓથી હેવાયા થઇને નિર્ણય લો.