ધીમે ધીમે દરવાજા ખૂલી રહ્યા છે

Tuesday 12th May 2020 16:11 EDT
 
 

લંડનઃ એક સમયે પોતાના દેશના આમ આદમીને કોવિડ-૧૯ના જીવલેણ પંજાથી બચાવવાના એકમાત્ર ઇરાદે લોકડાઉન લાગુ કરનારા રાષ્ટ્રો હવે આ જ આમ આદમીની રોજી-રોટીને નજરમાં રાખીને અર્થતંત્રને ફરી ચેતનવંતુ કરવાના કામે લાગ્યા છે. બ્રિટનમાં બોરિસ જ્હોન્સન સરકારે બીજી મુદત માટે લોકડાઉન લાગુ કર્યું છે, પરંતુ અંકુશ હળવા કર્યા છે. તો ભારતમાં નરેન્દ્ર મોદી સરકારે લોકડાઉન ૪.૦ની જાહેરાત સાથે સાથે આર્થિક ગતિવિધિઓને વેગ આપવા કમર કસી છે. મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં આત્મનિર્ભર ભારત અભિયાનના સંકલ્પ માટે હાકલ કરતા કુલ ૨૦ લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હોવાનું જણાવ્યું હતું.
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા પ્રમાણે, મંગળવાર સુધીમાં દેશમાં કોવિડ-૧૯ના ૭૦ હજાર કરતાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી ૨૨ હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે. જ્યારે મરણાંક ૨૩૦૦ નજીક પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે ૧૩૦ કરોડ કરતાં વધુ વસ્તી અને ગીચ રહેણાંક વિસ્તારો ધરાવતા ભારતમાં અગમચેતી દાખવીને લાગુ કરાયેલા લોકડાઉનના સારા પરિણામ જોવા મળી રહ્યાા છે. કેસની સંખ્યા અને મૃત્યુ આંક અન્ય દેશોની સરખામણીએ ઓછો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ કોરોના મહામારીને નાથવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવાયેલા પગલાંને બિરદાવ્યા છે.

બ્રિટનમાં લોકડાઉન ૧ જૂન સુધી લંબાવ્યું, પરંતુ છૂટછાટો ઘણી આપી

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોરોના મહામારી સામે લડવામાં લોકડાઉનને વધુ મહત્ત્વ આપ્યું છે અને આંશિક છૂટછાટો સાથે પહેલી જૂન સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. વિશ્વમાં કોરોના વાઇરસથી સૌથી પ્રભાવિત દેશોમાં ત્રીજા ક્રમે રહેલા યુકેમાં અત્યાર સુધીમાં ૩૧ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૨૧૯,૦૦૦થી વધુ લોકો સંક્રમિત છે. આ સંજોગોમાં તેમણે કોવિડ-૧૯ના કેસમાં વધારાનું જોખમ લીધા વિના દેશને ધીમી ગતિએ સામાન્ય પરિસ્થિતિ તરફ લઈ જવા ત્રણ પગલાંના અભિગમની રૂપરેખા જાહેર કરી છે.
વડા પ્રધાન જ્હોન્સને કહ્યું હતું કે લોકડાઉનને સરળ બનાવવા માટે સરકાર કેટલીક યોજનાઓ પર કામ કરી રહી છે. આ સમય લોકડાઉનના અંતનો નહિ, પરંતુ ઉપાયો શોધવાનો છે. નવા લોકડાઉનમાં શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહી કામ કરવા, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ટાળવા પર ભાર મૂકાયો છે. સૌથી નોંધનીય બાબત એ રહી છે કે તેમણે સ્ટે હોમના બદલે સ્ટે એલર્ટનું સૂત્ર જારી કર્યું છે.

કેટલાક નિયંત્રણ હળવા થયા

નર્સરીઝ અને કેટલીક પ્રાઈમરી શાળાઓને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોના પાલનની ખાતરીના આધારે જૂન મહિનાથી ખોલવામાં આવશે, પરંતુ સેકન્ડરી સ્કૂલ્સ સપ્ટેમ્બર મહિના સુધી કાર્યરત થવાના અણસાર નથી. કેટલીક દુકાનો ખુલી શકે છે, પરંતુ રેસ્ટોરાં, બાર, કાફેઝ ક્યારે ખુલશે તે નિશ્ચિત નથી. 

લોકોને કસરતો અને સૂર્યસ્નાન માટે સ્થાનિક પાર્ક્સમાં જવાની છૂટ અપાઈ છે. અંગત મિત્રો અને વ્યક્તિઓને ઘરની બહાર મળવાની પણ છૂટ છે. મહત્ત્વની બાબત એ છે કે સર્જિકલ અથવા મેડિકલ માસ્ક પહેરવાની જરૂર નથી, પરંતુ ચહેરા પર આવરણ કે સ્કાર્ફ સાથે શોપિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપરાંત, સામાજિક અંતર જાળવી ન શકાય તેવાં બંધિયાર સ્થળોએ જઈ શકાશે. શારીરિક અંતર જાળવવાના નિયમોના ભંગ બદલ દંડમાં પણ વધારો કરાયો છે.

પાંચ-સ્તરીય એલર્ટ સિસ્ટમ

વડા પ્રધાને એક પાંચ-સ્તરીય એલર્ટ સિસ્ટમ રાખી છે જેની મદદથી સરકાર વૈજ્ઞાનિક ડેટાઓનો ઉપયોગ કરીને વાયરસના પ્રસાર-દરને મોનિટર અને ટ્રેક કરી શકે અને તેને ‘R’ દર એવું નામ આપવામાં આવ્યું છે. એલર્ટ સિસ્ટમના લેવલ અંગે જણાવતા તેમણે કહ્યું કે, ‘લેવલ-૧નો અર્થ એ થાય હવે બ્રિટનમાં બીમારી રહી નથી જ્યારે લેવલ-૫ સૌથી ગંભીર છે. લોકડાઉન દરમિયાન આપણે લેવલ-૪માં રહ્યા હતા અને હવે આપણે લેવલ-૩માં કદમ માંડવાની સ્થિતિમાં છીએ.’ જ્હોન્સને જણાવ્યું હતું કે, જે લોકો ઘરેથી કામ નથી કરી શકે તેમ ન હોય તેમને સોમવારથી ઓફિસ જવાની છૂટ મળશે.લોકો બુધવારથી વ્યાયામ અને રમતને લગતી ગતિવિધિઓ માટે બહાર જઈ શકશે, પરંતુ તેના માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે જરૂરી છે. તેમણે સ્થાનિક પાર્કમાં સુર્યસ્નાન કરવાની, ડ્રાઈવ કરીને કસરતો માટે બીજા સ્થળે જવાની અને ઘરના સદસ્યો સાથે એન્ગલિંગ, તળાવ-સરોવર કે નદીઓમાં સ્વિમિંગ, ટેનિસ અને ગોલ્ફ જેવી કેટલીક રમત રમવાની છૂટછાટ પણ આપી હતી.

સાયકલિંગ માટે પહેલ

ઉલ્લેખનીય છે કે બોરિસ સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે નવી સાયકલિંગ પહેલ કરી છે. સરકાર સાયકલથી અવરજવર કરવાના અભિયાનને પ્રોત્સાહન આપશે. આ માટે બે બિલિયન પાઉન્ડનું બજેટ મંજૂર કર્યું છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું છે કે તેનાથી પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને મદદ મળશે, ભીડ પણ ઓછી થશે અને લોકોને શારીરિક લાભ પણ થશે.

લોકડાઉનમાં આંશિક છૂટછાટ વિશે જાણો...

• બે વર્ષથી ઓછી વયના બાળકો માટે ચહેરાના આવરણ લગાવવાના નથી. જોકે, મોટા બાળકો માટે તે જરૂરી છે. • ગાર્ડન પબ્લિક સ્પેસ તરીકે ગણાતા ન હોવાથી મિત્રો કે સંબંધીઓને ત્યાં મળી શકાશે નહિ. • વ્યાયામ માટે બહાર જઈ શકાશે, પરંતુ પ્લેગ્રાઉન્ડ, આઉટડોર જિમ્સ કે ટિકિટવાળા સ્થળોને મંજૂરી નથી. તમારા ઘરના સભ્યો કે બહારની એક વ્યક્તિ સાથે જ કેટલીક રમતોની છૂટ અપાઈ છે. • અન્ન ઉત્પાદન, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ અને લેબોરેટરીમાં સાયન્ટિફિક રિસર્ચ જેવા સેક્ટર ખુલ્લા કરી શકાશે. • હોસ્પિટાલિટી અને બિનઆવશ્યક રીટેઈલ બંધ રહેશે. • જો ચેપદર ઓછો રહેશે તો જૂન મહિનાથી પ્રાઈમરીઝ ખુલી શકે છે. પહેલા અને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ, સેકન્ડરીઝ પણ ખુલી શકે છે. • શાળાઓ ખુલે તો બાળકોને કોરોનાના ભયે શાળાએ ન મોકલનાર પેરન્ટ્સને કોઈ દંડ નહિ કરાય. • બાળકો માટેના પ્લેગ્રાઉન્ડ્સ હાલ બંધ જ રહેશે. • મહત્ત્વના વર્કર્સ સહિત તમામે શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટને ટાળવું જોઈશે. ચાલતા, સાયકલ કે કારથી કામે જઈ શકે છે. • ટ્રેન કે બસમાં જઈ શકાય, પરંતુ ચહેરા પર આવરણ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન ફરજિયાત રહેશે. • યુકેમાં હવાઈમાર્ગે આવતા તમામ લોકોને ૧૪ દિવસ ક્વોરેન્ટાઈન કરાશે. • બિનઆવશ્યક રીટેઈલ ઓછા ચેપદર અને સોશિયલ ડિસ્ટન્સિંગના આધારે ૧ જૂનથી ખુલી શકે છે. • લગ્નોની નાની પાર્ટીઝ માટે આ વર્ષના પાછળના સમયે છૂટ મળી શકે છે. • હેર ડ્રેસર્સ અને બ્યૂટી સલૂન જેવી અંગત સેવા માટે લોકોએ ત્રીજા તબક્કા સુધી રાહ જોવી પડશે, જે ચોથી જુલાઈ અગાઉ શક્ય નહિ બને. • પબ્સ, ક્લબ્સ, સિનેમા અને એકોમોડેશન્સ સૌથી છેલ્લે ખોલાશે. • ચર્ચ સહિતના ધાર્મિક સ્થળો નજીકના ભવિષ્યમાં નહિ ખોલાય.

-----------------------

ભારતમાં લોકડાઉન ચાલુ, પણ અર્થતંત્રને વેગ આપવા રૂ. ૨૦ લાખ કરોડનું પેકેજ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં મંગળવારે પાંચમી વખત વખત રાષ્ટ્રજોગ સંબોધન કરતાં ૨૦ લાખ કરોડ રૂપિયાના જંગી આર્થિક પેકેજની જાહેરાત કરી હતી.
આ જાહેરાત કરતાં તેમણે કહ્યું કે ‘આ પેકેજ ભારતની જીડીપીના લગભગ ૧૦ ટકા છે. આ પેકેજ ૨૦૨૦માં દેશની વિકાસ યાત્રાને એક નવી ગતિ આપશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આ પેકેજમાં લેન્ડ, લિક્વિડિટી, લેબર, કુટિર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ તમામ માટે ઘણું બધું છે. આ પેકેજ દેશના એ કિસાનો માટે છે જેઓ દિવસ-રાત પરિશ્રમ કરી રહ્યા છે. આ પેકેજ દેશના મધ્યમ વર્ગ માટે છે. આ પેકેજ ભારતના ઉદ્યોગો માટે છે. વિવિધ વર્ગોને આવરી લેતા આ આર્થિક પેકેજ વિશે બુધવારથી નાણા પ્રધાન વિગતવાર જાણકારી આપશે.’ વડા પ્રધાને કહ્યું હતું કે ‘દેશે ભારતના ગરીબ ભાઇ-બહેનોની સહનશક્તિનો પરિચય પણ જોયો. તેમણે આ દરમિયાન ખૂબ કષ્ટ સહન કર્યું છે. એવું કોણ હશે જેમણે તેમની ગેરહાજરી મહેસૂસ ન કરી હોય. આ બાબતને ધ્યાનમાં રાખતાં દરેક વર્ગ માટે આર્થિક પેકેજમાં જાહેરાત કરાશે.’
વડા પ્રધાને કહ્યું હતું કે ‘કોરોના સંક્રમણ સામે મુકાબલો કરતાં દુનિયાને હવે ચાર મહિનાથી વધુ સમય પસાર થઇ ગયો છે. આ દરમિયાન તમામ દેશોના ૪૨ લાખથી વધુ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. પોણા ત્રણ લાખથી વધુ લોકોના દુખદ મૃત્યુ થયા છે. ભારતમાં પણ લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, સાથીઓ એક વાઇરસે દુનિયાને તો તહસ નહસ કરી દીધી છે.

લોકડાઉન ૪.૦

વડા પ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં લોકડાઉનના ચોથા રાઉન્ડના પણ સ્પષ્ટ સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ૧૮મી મે પહેલાં નવા રંગરૂપ સાથે લોકડાઉન - ૪ની જાહેરાત કરાશે.

જિંદગી બચાવવાનો જંગ

આખી દુનિયા જિંદગી બચાવવામાં એક પ્રકારે જંગ લડી રહી છે. આપણે આવું સંકટ જોયું નથી, ના તો સાંભળ્યું છે. નિશ્વિતપણે માનવ જાતિ માટે આ બધું અકલ્પનીય છે. આ કટોકટી અભૂતપૂર્વ છે, પરંતુ થાકવું, હારવું, તૂટવું, વિખેરાઇ જવું મનુષ્યને મંજૂર નથી. આપણે બચવાનું પણ છે અને આગળ વધવાનું પણ છે.
આજે જ્યારે દુનિયા સંકટમાં છે, ત્યારે આપણે આપણો સંકલ્પ વધુ મજબૂત કરવો પડશે, આપણો સંકલ્પ આ સંકટ કરતાં પણ વિરાટ હશે. આપણે ગત શતાબ્દીથી સતત સાંભળતા આવ્યા છીએ કે એકવીસમી સદી હિંદુસ્તાનની છે. કોરોના સંકટ બાદ પણ દુનિયામાં જે સ્થિતિઓ સર્જાઇ રહી છે, તેને પણ આપણે સતત જોઇ રહ્યા છીએ.

આપત્તિને અવસરમાં બદલીએ

તેમણે કહ્યું કે ‘આજે સ્થિતિ એ છે કે ભારતમં દરરોજ બે લાખ પીપીઇ અને બે લાખ એન-95 માસ્ક બની રહ્યા છે. ભારતે આપત્તિને અવસરમાં બદલી છે. ભારતની આ દૃષ્ટિ પ્રભાવશાળી સિદ્ધ થવાની છે. વિશ્વની સમક્ષ ભારતની સંસ્કૃતિ તે આત્મનિર્ભરતાની વાત કરે છે જેનો આત્મા વસુધૈવ કુટુંબકમ્ છે. ભારતની પ્રગતિમાં તો હંમેશા વિશ્વની પ્રગતિ સમાયેલી છે.

આત્મનિર્ભર ભારતનો સંકલ્પ

ભારતના લક્ષ્યોનો પ્રભાવ વિશ્વ કલ્યાણ પર પડે છે. ટીવી હોય, કુપોષણ હોય, ભારતના અભિયાનોની અસર દુનિયા પર પડે જ છે. આ પગલાંથી ભારતની દુનિયાભરમાં પ્રસંશા થાય છે. દુનિયાને વિશ્વાસ થવા લાગ્યો છે કે ભારત ખૂબ સારું કરી શકે છે. માનવ જાતિના કલ્યાણ માટે ઘણું બધુ સારું થઇ શકે છે. ૧૩૦ કરોડ દેશવાસીઓના આત્મનિર્ભર ભારતના સંકલ્પના કારણે આ સંભવ થઇ શક્યું છે.
મોદીએ કહ્યું કે ‘આજે આપણી પાસે સાધન છે, આપણે પાસે દુનિયાનું સૌથી સારું ટેલેન્ટ છે, આપણે બેસ્ટ પ્રોટોકોલ બનાવીશું. સપ્લાઇ ચેનને વધુ આધુનિક બનાવીશું. આ આપણે જરૂર કરીશું. મેં મારી આંખો સામે કચ્છ ભૂકંપના તે દિવસો જોયા છે. બધું ધ્વસ્ત થઇ ગયું હતું, માનો કે કચ્છ મોતની ચાદર ઓઢીને સુઇ ગયું હતું. કોઇ વિચારી પણ ન શકે કે હાલત ઠીક થઇ શકશે, પરંતુ જોતજોતાંમાં કચ્છ ઉભું થઇ ગયું. આપણે નક્કી કરી લઇએ તો લક્ષ્ય મુશ્કેલ નથી. આ લક્ષ્ય છે ભારતને આત્મનિર્ભર બનાવવાનું. ભારતની સંકલ્પ શક્તિ એવી છે કે ભારત આત્મનિર્ભર બની શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter