લંડનઃ યુકેમાં કારકિર્દી બનાવી સેટલ થવાના સ્વપ્ન લઇને આવેલા વિદેશી નાગરિકો પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાની અનુભૂતિ કરી રહ્યાં છે. બ્રિટનમાં કાયમી વસવાટની પરવાનગીની સમયમર્યાદા પાંચ વર્ષથી વધારીને 10 વર્ષ કરવાની લેબર સરકારની જાહેરાતે લાખો વિદેશી નાગરિકોની ઉંઘ હરામ કરી દીધી છે. માઇગ્રન્ટ્સ માટેના નવા નિયમોની સરકાર દ્વારા જાહેરાત થાય તે પહેલાં 1.5 મિલિયન ઇમિગ્રન્ટ્સનું ભાવિ અદ્ધરતાલ બની ગયું છે.
અત્યારે લોંગ ટર્મ વર્ક વિઝા પર યુકે આવેલા લોકો, પરિવાર અને રેફ્યુજી રૂટથી આવેલા લોકો અથવા તો હોંગકોંગથી આવેલા બ્રિટિશ નાગરિકો સેટલ્ડ સ્ટેટસ માટે પાંચ વર્ષ બાદ અરજી કરી શકે છે પરંતુ આ મહિને લેબર સરકાર દ્વારા જારી કરાયેલા વ્હાઇટ પેપરમાં આ સમયમર્યાદા 10 વર્ષ કરાઇ છે અને તેની સાથે પોઇન્ટ આધારિત સિસ્ટમ પણ લાગુ કરાશે.
હોમ સેક્રેટરી કૂપર ઇચ્છે છે કે નિયમોમાં કરાયેલો બદલાવ હાલ યુકેમાં વસવાટ કરતા ઇમિગ્રન્ટ્સ પર પણ લાગુ થાય. આ નિવા નિયમના કારણે 2021થી યુકેમાં આવેલા 1 મિલિયન કરતાં વધુ ઇમિગ્રન્ટ્સ પર અસર થશે. આ લોકોમાં એનએચએસ અને કેર સેક્ટરમાં કામ કરતાં વિદેશી નાગરિકો અને તેમના પરિવારના 6,50,000 લોકોનો સમાવેશ પણ થાય છે. તેમાંના ઘણા યુકેમાં કારકિર્દી માટે પોતાના વતનના દેશમાં મોટા દેવા કરીને આવ્યાં છે.