નવા એન્ટિબાયોટિક ટેઈક્સોબેક્ટિનની શોધ

Friday 16th January 2015 08:22 EST
 

જો નવા સંયોજનને માનવીઓ માટે ઉપયોગની પરવાનગી અપાશે તો અસ્તિત્વ ધરાવતા તમામ એન્ટિબાયોટિક્સ સામે પ્રતિકારશક્તિ કેળવી ચુકેલા પેથોજેન્સ સામે લડવાની ખાતરી મળશે. વધુ મહત્ત્વની બાબત એ છે કે ટેઈક્સોબેક્ટિનની શોધ જે પદ્ધતિએ કરાઈ છે તેનાથી અન્ય પ્રકારના એન્ટિબાયોટિક્સની શોધ માટેના નવા મિકેનિઝમનો માર્ગ પણ ખુલી જશે.

નીચાં ધોરણના કેર હોમ્સ નહિ સુધારાય તો બંધ કરાશે

નવા ઈન્સ્પેક્શન નિયમો હેઠળ વૃદ્ધો માટેના કેર હોમ્સના લગભગ ત્રીજા ભાગના હોમ્સને નીચાં ધોરણસરના ગણાવાયાં છે. કેર ક્વોલિટી કમિશને ૩૫૩ કેર હોમ્સ અને પોતાના ઘરમાં જ સેવા આપતી ડોમિસિલિયરી સર્વિસની તપાસ હાથ ધરી હતી, જેમાં માત્ર ત્રણ સંસ્થાને નોંધપાત્ર ગણાવાઈ હતી. ૨૪ સંસ્થામાં અપૂરતી વ્યવસ્થા હોવાનું તારણ કઢાયું હતું. જો તેઓ સુધારો નહિ લાવે તો તેમને બંધ કરી શકાશે. આ ઉપરાંત, ૮૧ સંસ્થામાં સુધારણાની જરૂરિયાત ગણાવાઈ હતી, જ્યારે બાકીની ૨૪૫ સંસ્થા સારી હોવાનું તારણ કઢાયું હતું.

સસ્તી લોનથી પ્રથમ વખત ઘર ખરીદનારામાં વધારો

મોર્ગેજના સારા સોદાના કારણે ૨૦૦૭ પછી ગયા વર્ષે પ્રથમ વખત ઘર ખરીદનારાની સંખ્યામાં ભારે ઊછાળો આવ્યો છે. જોકે, નાણાકીય કટોકટી અગાઉના વર્ષોની સરખામણીએ સરેરાશ ડિપોઝિટ હજુ ૭૦ ટકા જેટલી ઊંચી છે. હેલિફેક્સના આંકડા અનુસાર ગયા વર્ષે અંદાજે ૩૨૬,૫૦૦ લોકોએ તેમની પ્રથમ પ્રોપર્ટી ખરીદી હતી, જે સંખ્યા ૨૦૧૩માં ૨૬૮,૫૦૦ હતી.

NHS ભંડોળમાં વર્ષે £૮ બિલિયનની વૃદ્ધિ માટે કેમરન તૈયાર

NHSના ભંડોળમાં ૨૦૨૦ સુધીમાં વર્ષે £૮ બિલિયનનો વધારો કરવાની માગણી સ્વીકારવા કન્ઝર્વેટિવ પાર્ટી તૈયાર હોવાનો સંકેત વડા પ્રધાન ડેવિડ કેમરને આપ્યો છે. NHS ઈંગ્લેન્ડના વડા સિમોન સ્ટીવન્સે હેલ્થ સર્વિસનું ભંડોળ વધારવા માગણી કરી છે. અત્યાર સુધી માત્ર લિબરલ ડેમોક્રેટ્સે જ ર્ષે £૮ બિલિયનના વધારાના ભંડોળ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

પ્રિન્સ એન્ડ્રયુને સમર્થન આપવા કેમરનનો ઈનકાર

અમેરિકન યુવતી વર્જિનિયા રોબર્ટ્સે તેની સગીરાવસ્થામાં પ્રિન્સ એન્ડ્રયુએ યૌનશોષણ કર્યાના કરેલા આક્ષેપો સંબંધે વડા પ્રધાન ડેવિડ કેમરને વિશેષ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. તેમણે જાહેરમાં પ્રિન્સને સમર્થન આપવાનું નકારતા કહ્યું હતું કે પ્રિન્સે પોતાનો મત દર્શાવ્યો જ છે. અગાઉ, સેક્સ અપરાધી જેફ્રી એપ્સટીન સાથે પ્રિન્સના સંબંધો પ્રકાશમાં આવ્યા ત્યારે કેમરને યુકેના ટ્રેડ રાજદૂત તરીકે તેમને સીધો ટેકો જાહેર કર્યો હતો.

ઓઈલ-ગેસમાં ભાવઘટાડાનો લાભ પરિવારોને મળવો જોઈએ

ઓઈલ અને ગેસમાં જંગી ભાવઘટાડાના લાભ કંપનીઓ તેમના ગ્રાહકોને આપી રહી છે છે કે નહિ તે મુદ્દે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ટ્રેઝરી દ્વારા તપાસ આરંભી છે. ઓસ્બોર્ને જણાવ્યું હતું કે ઓઈલ અને ગેસમાં ભાવઘટાડાના કારણે પરિવારોના યુટિલિટી બિલ્સ અને એરલાઈન ટિકિટો સસ્તાં થવા જોઈએ. ટ્રેઝરીના ચીફ સેક્રેટરી ડેની એલેકઝાન્ડરના હસ્તક્ષેપ પછી ફ્યુલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જાહેર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter