લંડનઃ નવી પોઈન્ટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમને લીધે તમામ રાષ્ટ્રીયતા ધરાવતા ૬૬૦ મિલિયનથી વધુ લોકો બ્રિટનમાં વર્ક વિઝા માટે અરજી કરવા પાત્ર થશે. માઈગ્રેશન વોચ યુકેએ જણાવ્યું હતું કે તેના લીધે ઈમિગ્રેશન નિયંત્રણ વિનાનું થઈ જશે. આ સંખ્યામાં ભારત અને ચીનના ૨૫૦ મિલિયનથી વધુ લોકોનો સમાવેશ થાય છે.
કડક બોર્ડર કન્ટ્રોલ માટે અનુરોધ કરતા આ ગ્રૂપ દ્વારા જણાવાયું હતું કે હોમ સેક્ર્ટરી પ્રીતિ પટેલે આ વર્ષે જાહેર કરેલી આ નીતિની કોવિડ-૧૯ના સંદર્ભમાં સમીક્ષા કરવી જોઈએ જેથી બેરોજગાર બ્રિટિશરો નોકરી શોધી શકે.
માઈગ્રેશન વોચ યુકેએ આ નવી સ્કીમ હેઠળ વર્ક વિઝાની મહત્તમ સંખ્યા નિશ્ચિત કરવા હોમ સેક્રેટરીને અનુરોધ કર્યો હતો. જોકે, હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હોમ સેક્રેટરી અને વડા પ્રધાન સ્પષ્ટપણે માને છે કે આ નવી સિસ્ટમ એકંદરે સંખ્યા ઘટાડવામાં મદદરૂપ થશે.
માઈગ્રન્ટ્સે ઈંગ્લિશ બોલવું પડશે અને ક્વોલિફાય થવા જોબ ઓફર પણ સાથે હોવી જોઈએ. પરંતુ, થિન્ક ટેંક દ્વારા જણાવાયું હતું કે સસ્તા, અસંગઠિત વિદેશી શ્રમિકોને કામે રાખવા માટે બિઝનેસ સેક્ટર આ સિસ્ટમનો લાભ લેશે. ચેરમેન આલ્પ મેહમેટે ઉમેર્યું હતું કે આ યોજના કોવિડ કટોકટીના ઘણાં સમય પહેલા તૈયાર કરાઈ હતી. હવે કેટલાંક મિલિયન લોકો બેરોજગારી તરફ વધી રહ્યા છે ત્યારે આપણે વિશ્વભરમાંથી અમર્યાદિત ઈમિગ્રેશનની ભૂલ કરી શકીએ નહિ. લેબર પાર્ટીના શાસનમાં થયું હતું તેમ ઈમિગ્રેશન અનિયંત્રિત થઈ જશે. આ કટોકટીને ટાળવાનો એકમાત્ર રસ્તો સંખ્યા મર્યાદિત કરીને જરૂર હોય ત્યાં સમાયોજન કરવું જોઈએ.