નિરવ મોદીનું ભારતને પ્રત્યર્પણ કરવા બ્રિટિશ કોર્ટનો ચુકાદો

ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગુઝીએ ભારતના ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યોઃમોદીની માનસિક સ્થિતિ સારી ન હોવાની તેમજ ભારતીય જેલોમાં અપૂરતી સુવિધાની દલીલો ફગાવાઈ

Friday 26th February 2021 03:00 EST
 
 

લંડનઃ પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે લગભગ ૧૪,૦૦૦ કરોડ રુપિયા (૨ બિલિયન ડોલર, આશરે ૧૩૬,૨૨૫, ૯૦૭ પાઉન્ડ)ની છેતરપિંડીના કેસમાં ભાગેડું અને મોસ્ટ વોન્ટેડ હીરા-ઝવેરાતના બિઝનેસમેન નિરવ મોદીને કેસનો સામનો કરવા ભારતને પ્રત્યર્પણની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે આખરે મંજૂરી આપી છે. ૨૫ ફેબ્રુઆરી, ગુરુવારે આખરી સુનાવણી દરમિયાન ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગુઝીએ ભારતના ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નિરવ મોદીને પ્રત્યર્પણ કરાશે તો તેને ન્યાય નહિ મળે તે દલીલમાં કોઈ તથ્ય નથી. કોર્ટે મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર ૧૨ની વ્યવસ્થાને નિરવ મોદી માટે યોગ્ય ગણાવી હતી. કોર્ટે નિરવ મોદીની માનસિક સ્થિતિ સારી ન હોવાની વાતને પણ ફગાવી દીધી છે. હવે આ કેસ હોમ મિનિસ્ટર પ્રીતિ પટેલ પાસે જશે જેઓ નિરવ મોદીને ભારત દેશનિકાલ કરવાના આદેશ પર સહી કરશે. જોકે, આ પછી પણ ન્યાયનો માર્ગ લાંબો બની શકે છે. નિરવ મોદી કેસને લંબાવવા આ ચુકાદા સામે અપીલ કરી શકે છે.

ભારતીય ન્યાયતંત્ર નિષ્પક્ષ છેઃ જજ ગૂઝી

જજ ગૂઝીએ જણાવ્યું હતું કે નિરવ મોદીનું પ્રત્યર્પણ કરાશે તો તેને ન્યાય નહિ મળે તેમ દર્શાવતી કોઈ સાબિતીઓ નથી. ભારતનું ન્યાયતંત્ર નિષ્પક્ષ હોવાની ભારતની રજૂઆત સાથે તેઓ સંમત થયા હતા. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે વર્ચ્યુઅલ સુનાવણીના પગલે કહ્યું હતું કે નિરવ મોદીએ ભારતમાં ચાલી રહેલા કેસમાં જવાબ આપવો પડશે. ભારતમાં પ્રત્યર્પણ થશે તો પણ તેને ત્યાં ન્યાય મળશે જ. તેમણે એમ પણ કહ્યું હતું કે મોદીએ પુરાવાઓને નષ્ટ કરવાની અને સાક્ષીઓને ડરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. ભાગેડુ જ્વેલરને ભારતમાં ટ્રાયલનો સામનો કરવા માટેનો કેસ મજબૂત છે અને બેન્ક અધિકારીઓ સાથે મેળાપીપણાથી બનાવટી લેટર્સ ઓફ અંડરટેકિંગ થકી ભારે લોન્સ મેળવવાનું સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત, નિરવ મોદીએ PNBને પત્ર પાઠવી કરજની કબૂલાત કરવા ઉપરાંત, તેની પુનઃચૂકવણીની ખાતરી પણ આપી હતી. જજે કહ્યું હતું કે મોદી તરફથી અપાયેલા અનેક નિવેદનો પરસ્પર બંધબેસતા નથી અને પ્રથમ દર્શનીય પુરાવાઓ નિરવની વિરુદ્ધમાં છે.

ખરાબ માનસિક હાલત- જેલની અપૂરતી સુવિધાની દલીલો ફગાવાઈ

નિરવ મોદીના વકીલોએ તેમનો ક્લાયન્ટ માનસિક રુપથી બીમાર છે તેમજ ભારતની જેલમાં પૂરતી સુવિધાઓ ન હોવાના દાવા કર્યા હતા. ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગુઝીએ કોર્ટે નિરવ મોદીની માનસિક સ્થિતિ સારી ન હોવાની વાતને પણ ફગાવી દીધી છે. જજે મહામારી દરમિયાન મોદીની ખરાબ માનસિક હાલત તેમજ ભારતીય જેલોની ખરાબ પરિસ્થિતિની દલીલોને ફગાવી દીધી હતી. કોર્ટે નિરવના માનસિક સ્વાસ્થ્યની ચિંતાને નકારતા કહ્યું હતું કે આવી સ્થિતિમાં ફસાયેલા લોકો માટે આ અસામાન્ય નથી. જો નિરવને ભારત મોકલાશે તો તે આત્મહત્યા કરી લે એવું કોઈ જોખમ નથી કારણકે તેને આર્થર રોડ જેલમાં યોગ્ય તબીબી સહાય મળશે. જેલમાં યોગ્ય સારવાર અને માનસિક સ્વાસ્થ્યની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

ભારતીય એજન્સીઓ તરફથી રજૂઆત કરતા ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ(CPS)ના બેરિસ્ટર હેલન માલ્કમે કહ્યું હતું કે છેતરપિંડીનો મામલો બિલકુલ સ્પષ્ટ છે. નિરવે ત્રણ પાર્ટનર ધરાવતી કંપની દ્વારા બિલિયન્સ રુપિયાનું કૌભાંડ આચર્યું છે. બચાવ પક્ષના વકીલોએ મામલાને વિવાદિત ગણાવતા કહ્યું હતું કે નિરવ મોદી પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે.

નિરવને ભારતમાં લાવવાનો માર્ગ હજુ કઠિન

લંડન કોર્ટના ચુકાદાના પગલે નિરવને ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે પરંતુ તે તત્કાળ ભારત આવે તેવી શક્યતા નથી. હજુ નિરવ મોદી માટે હાઈ કોર્ટમાં જવાનો વિકલ્પ હશે. હાઈ કોર્ટ પછી કોર્ટ ઓફ અપીલ અથવા સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. આ ઉપરાંત, તેની પાસે માનવ અધિકારોની દલીલો સાથે યુરોપિયન કોર્ટમાં જવાનો વિકલ્પ પણ રહેશે. આ બધી પ્રક્રિયામાં બે વર્ષ જેટલો સમય લાગી શકે તે જોતાં તેની હાલ તુરંત જ ભારત આવવાની શક્યતા જણાતી નથી. બેન્કો સાથે છેતરપિંડીનો અન્ય હાઈ પ્રોફાઈલ આરોપી લિકર બેરન વિજય માલ્યા અપીલો પર અપીલો કરીને બ્રિટન છોડી રહ્યો નથી તે રીતે નિરવ મોદીને પણ ભારત લાવવામાં મહિનાઓ લાગી શકે છે.

કરોડો રુપિયાની લોનની છેતરપિંડીનો આરોપ

પંજાબ નેશનલ બેન્કની મુંબઈની બ્રીચ કેન્ડીસ્થિત શાખામાં ૨૦૧૧થી ૨૦૧૮ના સમયગાળામાં ૧૩,૬૦૦ કરોડ રુપિયાનું કૌભાંડ કરાયું હતું જેમાં, લેટર ઓફ અંડરટેકિંગ(LOU)ના માધ્યમથી બેંકના કર્મચારીઓ અને નિરવ મોદી, તેના મામા મેહુલ ચોકસી સહિતના ખાતેદારોની મિલીભગત બહાર આવી હતી. આ છેતરપિંડી ગેરન્ટી પત્ર મારફત કરવામાં આવી હતી. તેણે ખોટા LOUથી ૪૦૦૦ કરોડ રુપિયા વિદેશ મોકલ્યા અને UAE અને હોંગકોંગમાં બનાવટી કંપનીઓ ઉભી કરી મની લોન્ડરિંગ પણ કર્યું હતું.

તેની પર ભારતમાં બેંકને લગતી ગેરરીતિ અને મની લોન્ડરિંગ હેઠળ બે મુખ્ય કેસ CBI અને EDએ દાખલ કરેલા છે. આ ઉપરાંત, તેની સામે ભારતમાં અન્ય કેસ નોંધાયેલા છે. નિરવ મોદી જાન્યુઆરી ૨૦૧૮માં ભારતમાંથી ફરાર થઈ ગયા પછી લંડનમાં ૧૯ માર્ચ ૨૦૧૯માં ધરપકડ કરાયા પછી સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્ઝવર્થ જેલમાં જ છે. તેણે ઘણી વખત જામીન મેળવવા  કોશિશ કરી હતી પરંતુ, મોદીના નાસી છૂટવા તેમજ સાક્ષીઓ અને પુરાવાઓ સાથે છેડછાડ કરવાના જોખમના કારણે દરેક વખતે તેની જામીનઅરજીને ફગાવી દેવામાં આવી છે. નિરવ મોદીએ તેના પ્રત્યર્પણના આદેશ સામે બ્રિટનની કોર્ટમાં સ્ટે માગ્યો છે.

નિરવનું નવું ઘર આર્થર રોડ જેલની બેરેક નંબર ૧૨

નિરવ મોદીને પ્રત્યર્પણ થકી ભારત લવાશે ત્યારે ૧૯ માર્ચ, ૨૦૧૯થી તેનું ઘર બનેલી સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્ઝવર્થ પ્રિઝનના બદલે મુંબઈની આર્થર રોડ જેલની ૧૨ નંબરની બેરેક તેનું નવું ઘર બનશે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટના ચુકાદા આર્થર રોડ જેલમાં મોદીને રાખવા માટેની તૈયારીઓ વધી ગઈ છે. નિરવ મોદીને બે માળની આર્થર રોડ જેલના પરિસરમાં અત્યંત સલામતી વ્યવસ્થામાં રાખવામાં આવી શકે છે. તેને જેલમાં સારું ભોજન, સ્વચ્છ પાણી, સાફ ટોઈલેટ, પથારીની સુવિધાઓ અપાય તેવી શક્યતા છે. મુંબઈની સેન્ટ્રલ જેલના ડોક્ટર પણ નિરવ માટે ઉપલબ્ધ રહેશે. ભારત સરકારે નિરવને રખાય તે ૧૨ નંબરની બેરેકની વ્યવસ્થાનું વીડિયો રેકોર્ડિંગ બ્રિટિશ કોર્ટમાં રજૂ કર્યું હતું. આ કોટડીમાં નિરવ માટે ગાદી, તકિયા, ચાદર અને કામળાની વ્યવસ્થા કરાશે. મેડિકલ જરુરિયાતના આધારે મેટલ ફ્રેમ અથવા લાકડાની બેડ પણ અપાઈ શકે છે.

૧૯૨૬માં બનેલી આર્થર રોડ જેલને ૧૯૯૪માં અપગ્રેડ કરાઈ હતી. આ સેલ બોમ્બપ્રૂફ અને બુલેટપ્રૂફ પણ હતો. કસાબ પછી આ સેલમાં હાલ ૨૬-૧૧ના કથિત આતંકી અબુ જિંદાલને રખાયો છે. દાઉદના ભાઈ ઈકબાલ કાસકર, મુસ્તફા ડોસા, યાસીન ભટકલ, શીના બોરા હત્યાકાંડની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખરજીના પતિ પીટર મુખરજી, મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન છગન ભૂજબળ, તેના ભત્રીજા સમીર ભૂજબળ અને અભિનેતા સંજય દત્ત પણ આ સેલમાં રહી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter