લંડનઃ ભાગેડુ ડાયમન્ડ મર્ચન્ટ નીરવ મોદીની વધુ એક જામીન અરજી લંડનની હાઇકોર્ટ ઓફ જસ્ટિસની કિંગ્સ બેન્ચ ડિવિઝને નકારી કાઢી છે. ભારતની તપાસ એજન્સી સીબીઆઇએ જણાવ્યું હતું કે, નીરવ મોદીની જામીન અરજીનો સીબીઆઇની ટીમ અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા જોરદાર વિરોધ કરાયો હતો. નીરવ મોદીની પ્રત્યર્પણ વોરંટના આધારે બ્રિટનમાં ધરપકડ કરાયા બાદ માર્ચ 2019થી જેલમાં છે.
નીરવ મોદીની આ 10મી જામીન અરજી હતી. તે ગમે ત્યારે ફરાર થઇ શકે તેવું ગંભીર જોખમ હોવાના કારણે તેની જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી. નીરવ મોદીએ તેની જામીન અરજીમાં કોઇ અપરાધ કર્યો હોવાનો ઇનકાર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, મારી જિંદગીને ભારત સરકાર તરફથી જોખમ છે તેથી હું બ્રિટન છોડીને જવાનો નથી.
નીરવ મોદીના વકીલે અમેરિકા અને કેનેડામાં શીખ એક્ટિવિસ્ટોને ટાર્ગેટ કરવાના કથિત કાવતરાઓનો ઉલ્લેખ પોતાની દલીલોમાં કર્યો હતો.. અત્રે ઉલ્લેખનીય છે કે 2022માં યુકેની હાઇકોર્ટે નીરવ મોદીને ભારતને સોંપી દેવાને મંજૂરી આપી હતી. પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13000 કરોડના કૌભાંડને પગલે નીરવ મોદી જાન્યુઆરી 2018માં ભારતમાંથી નાસી છૂટ્યો હતો.
ગુપ્ત કાયદાકીય કારણ નીરવ મોદીના પ્રત્યર્પણ આડે અવરોધઃ હાઇકોર્ટ
લંડન હાઇકોર્ટના ચુકાદા અનુસાર ગુપ્ત કાનૂની પ્રક્રિયાના કારણે નીરવ મોદીનું ભારત ખાતેનું પ્રત્યર્પણ સ્થગિત છે. મોદીની જામીન અરજી નકારી કાઢનાર જસ્ટિસ માઇકલ ફોર્ડહામે તેમના ચુકાદામાં નોંધ મૂકી છે કે કાનૂની અવરોધના કારણે યુકેના સત્તાવાળા નીરવ મોદીને ભારતને સોંપી શક્તા નથી. ગુપ્ત પ્રક્રિયા સાથે કાયદાકીય કારણ સંકળાયેલું છે. નીરવ મોદી, તેમના વકીલો અને હોમ ઓફિસને તે અંગે જાણકારી છે પરંતુ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ, ભારતીય સત્તાવાળા અને આ અદાલતને તે અંગે જાણકારી નથી.