સ્વામીનારાયણ મંદિરની ૨૦મી વર્ષગાંઠ ૨૦૧૫માં યોજાય તે પહેલા એક વર્ષ લાંબી સત્તાવાર ઊજવણીનો નિર્ણય લેવા ભારતથી આવેલા વરિષ્ઠ સાધુ ત્યાગવલ્લભ સ્વામીની નિશ્રામાં શનિવાર ૨૨ નવેમ્બરે ખાસ બેઠક યોજાઈ હતી. મંદિરની સ્થાપનાથી અત્યાર સુધીની કામગીરીનો ચિતાર અપાયો હતો. બેઠકમાં ચેરિટી સંસ્થા ડાયાબિટીસ યુકેના ચેરમેન રિચાર્ડ લેનને ૨૦,૦૦૦ પાઉન્ડનો ચેક અપાયો હતો. આ નાણા BAPS ચેરિટિઝ એન્યુઅલ ૧૦કે ચેલેન્જ દરમિયાન એકત્ર કરાયા હતા. રિચાર્ડ લેને અશ્વેત, એશિયન અને માઈનોરિટી એથનિક કોમ્યુનિટિઝમાં ડાયાબિટીસ અંગે જાગૃતિ કેળવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે લંડન, લેસ્ટર અને બર્મિંગહામમાં BAPS ચેરિટિઝ દ્વારા સ્ક્રીનિંગ ક્લિનિક્સમાં આહારશાસ્ત્રીની મદદ આપવા પણ જણાવ્યું હતું.
ત્યાગવલ્લભ સ્વામી અને મંદિરના મુખ્ય સાધુ સત્યવ્રત સ્વામીએ આગામી મહિનાઓમાં ઊજવણીમાં તમામ લોકો સક્રિય ફાળો આપે તે માટે તેમને પ્રોત્સાહિત કરવાની શીખ આપી હતી.