લંડનઃ અતિ જમણેરી જૂથ નેશનલ એક્શન પર ત્રાસવાદી સંગઠન તરીકે શુક્રવાર ૧૬ ડિસેમ્બરે પ્રતિબંધ જાહેર કરાયો છે. પાર્લામેન્ટના બંને ગહોમાં ચર્ચાના પગલે ટેરરિઝમ એક્ટ ૨૦૦૦ હેઠળ પ્રતિબંધિત કરાનાર પ્રથમ અતિ જમણેરી જૂથ છે. આ જૂથના સભ્ય હોવું અથવા તેના માટે પ્રચાર ક્રિમિનલ ગુનો ગણાશે, જે બદલ ૧૦ વર્ષ સુધી જેલની સજા થઈ શકશે.
સમગ્ર યુકેમાં શાખાઓ ધરાવતા નીઓ-નાઝી ગ્રૂપ નેશનલ એક્શનની સ્થાપના ૨૦૧૩માં થઈ હતી. આ જૂથ ત્રાસવાદ સાથે સંકળાયેલું હોવાના મૂલ્યાંકનના પગલે તેના પર પ્રતિબંધ જાહેર કરાયો હતો. આ જૂથની ઓનલાઈન પ્રચારસામગ્રી સોશિયલ મીડિયા મારફતે ફરતી કરાતી હતી. સાંસદ જો કોક્સની હત્યા પછી નેશનલ એક્શન જૂથે ત્રાસવાદના કૃત્યોને પ્રોત્સાહન આપ્યું હતું.
હોમ સેક્રેટરી એમ્બર રડે જણાવ્યું હતું કે, ‘હોમ સેક્રેટરી તરીકે હું સ્પષ્ટ છું કે આપણા પરિવારો, કોમ્યુનિટીઓ અને રાષ્ટ્રની સુરક્ષા અને સલામતી સૌ પ્રથમ આવે છે. નેશનલ એક્શન જાતિવાદી, યહુદીવિરોધી, સજાતીયતાવિરોધી સંગઠન છે, જે ઘૃણાને ઉશ્કેરે છે, હિંસાને સારી ગણાવે છે અને અધમ વિચારધારાને ઉત્તેજન આપે છે. બ્રિટનમાં તેના માટે કોઈ સ્થાન નથી.’


