લંડનઃ દેશમાં કોરોના મહામારી લોકડાઉન હળવું થઈ રહ્યું છે પરંતુ, આર્થિક ગતિવિધઓ વેગમાં આવી નથી અને ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR)એ ચેતવણી આપી છે કે ભારે બેરોજગારીના કારણે આગામી વર્ષે ૪ મિલિયન લોકો સરકારી સહાય મેળવવાની લાઈનમાં ઉભા હશે. OBRએ એમ પણ કહ્યું છે કે કોરોના વાઈરસ મહામારીના કારણે આગામી પાંચ વર્ષમાં જાહેર દેવું વધીને અંદાજે ૭૧૦ બિલિયન થઈ જશે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોમન્સમાં સર કેર સ્ટાર્મરના આકરા પ્રશ્નો સામે એમ જણાવ્યું હતું કે તેમની પાસે નોકરીઓ બચાવવાની જાદુઈ છડી નથી. તેમણે સ્વીકાર્યું હતું કે છટણીઓનું મોજું જણાઈ રહ્યું છે અને યુકે સમક્ષના પડકારોને કોઈએ નજર અંદાજ કરવા ન જોઈએ.
વડા પ્રધાન પ્રશ્નોત્તરી દરમિયાન સર સ્ટાર્મરે અસ્તિત્વ જાળવવા મથી રહેલી ફર્મ્સને બચાવવા સરકાર શું કરી રહી છે તેવો આકરો પ્રશ્ન કર્યો ત્યારે વડા પ્રધાને જણાવ્યું હતું કે સરકાર દ્વારા વ્યાપક મદદ કરાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે,‘ આમ છતાં, કટોકટી પહેલા જે નોકરીઓ હતી તેને કટોકટી પછી જાળવી રાખવા જાદુઈ છડીની જરુર પડશે. સ્ટાર્મરે જાણવા માગ્યું હતું કે ઓટમમાં કોરોના મહામારીના બીજા મોજાં સંદર્ભે મિનિસ્ટર્સ કેવી તૈયારી કરી રહ્યા છે. આ સામે વડા પ્રધાને વળતા પ્રહારમાં કહ્યું હતું કે ‘અમે નવા સંભવિત ઉછાળા માટે તૈયારીઓ અમલી બનાવી રહ્યા છીએ એટલું જ નહિ, સરકાર NHSમાં વિક્રમી રોકાણો કરી રહી છે તેની પણ તમને જાણ થશે જ.’
ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી દ્વારા ચેતવણી અપાઈ છે કે આ વર્ષે GDPમાં ૧૪ ટકા જેટલો ઘટાડો થશે જે ૩૦૦ વર્ષમાં સૌથી ખરાબ મંદી લાવશે. આ સાથે રાષ્ટ્રીય દેવું સમગ્ર અર્થતંત્રના કદ કરતાં પણ વધી જશે. ઈન્કમ ટેક્સના બેઝિક દર પર લગભગ ૧૨ પેન્સ જેટલા ટેક્સવધારા તેમજ ખર્ચામાં ધરખમ કાપ અનિવાર્ય બની રહેશે. OBRએ એમ પણ કહ્યું છે કે અગાઉ ૨૦૨૩-૨૪ સુધીની અપેક્ષા હતી તેના કરતાં પણ સરકારના જવાબદારીઓ ૭૧૦ બિલિયન પાઉન્ડ જેટલી વધી જશે જે, યુકેમાં દરેક પુરુષ, સ્ત્રી અને બાળકના માથે લગભગ ૧૧,૦૦૦ પાઉન્ડની જવાબદારી ઉભી કરશે. દેશનું ઉત્પાદન ૨૦૨૪ સુધીમાં પણ ગયા વર્ષના સ્તર સુધી પહોંચી નહિ શકે. ફૂગાવાને ધ્યાનમાં લેવાય તો દેશ ૨૦૨૫માં છ ટકા ગરીબ બની રહેશે.
આ ઉપરાંત, ૨૦૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બેરોજગારી ૧૩ ટકા જેટલી ટોચે પહોંચી જશે. આનો અર્થ એ છે કે ૪ મિલિયનથી વધુ લોકો સરકારી સહાય મેળવવાની લાઈનમાં ઉભા હશે. વર્ષ ૧૯૮૪માં બેરોજગારીનો સૌથી ઊંચો દર ૧૧.૯ ટકા હતો તેનાથી પણ ખરાબ પરિસ્થિતિ હશે. વર્તમાન આગાહી અનુસાર ફર્લો કરાયેલી ૯.૪ મિલિયન નોકરીના ૧૫ ટકા નોકરીઓ ગુમાવાની થશે.
પ્રશ્નોત્તરી દરમિયાન સર સ્ટાર્મરે કહ્યું હતું કે સૌથી વધુ જોખમ ધરાવતા એવિયેશન સહિતના ચોક્કસ સેક્ટર્સને સપોર્ટ નહિ કરવાના સરકારના નિર્ણયથી હજારો નોકરીઓને અસર થશે. બ્રિટિશ એરવેઝ દ્વારા ૧૨,૦૦૦, વર્જિન અને ઈઝીજેટ દ્વારા અનુક્રમે ૩,૦૦૦ અને ૧,૯૦૦ છટણીની જાહેરાત કરાઈ છે. આ સામે વડા પ્રધાને કહ્યું હતું કે બ્રિટિશ એરવેઝ અને ઘણી કંપનીઓ મુશ્કેલીમાં છે પરંતુ, મેજિક વેન્ડ સિવાય બધી નોકરીઓ બચાવી શકાય નહિ. કંપનીઓ માટે જોબ રિટેન્શન સ્કીમ, જોબ રિટેન્શન બોનસ સ્કીમ્સ જાહેર કરાઈ છે અને દેશમાં નોકરીઓના સર્જન માટે ૬૦૦ મિલિયન પાઉન્ડનો ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ પણ જારી છે.