લંડનઃ ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગસાહસિક ચિરાગ પટેલ અને ચિન્ટુ પટેલ દ્વારા હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન સલફેટ દવાનો વિશાળ જથ્થો દાનમાં આપવામાં આવ્યો છે. આ બન્ને ઇન્ડિયન-અમેરિકન ભાઈ અમનીલ ફાર્માસ્યુટિકલ્સ ધરાવે છે અને હાલ કોરોના વાઇરસ મહામારી વચ્ચે અમેરિકન સરકારને આ દવાની ખૂબ જરૂર છે.
અમનીલ ફાર્માસ્યુટિકલ્સની સ્થાપના કરનારા ચિરાગ અને ચિન્ટુ પટેલે ૪૦૦,૦૦૦ જેટલી હાઇડ્રોક્સિક્લોરોક્લિન દવાની ગોળીઓનું દાન લૂઇસિયાના સ્ટેટને આપવામાં આવ્યું છે જેથી કોવિડ-૧૯ મહામારીનો સામનો કરી શકાય. આ બન્ને ભાઈઓ દ્વારા આ દવાનો વિશાળ જથ્થો અગાઉ ન્યૂયોર્ક અને ટેક્સાસ રાજ્યને પણ દાનમાં અપાયું છે.
લૂઇસિયાના એટર્ની જનરલ જેફ લાન્ડ્રી, સ્ટેટ સેનેટ હેલ્થ અને વેલ્ફેર ચેરમેન ફ્રેડ મિલ્સ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ન્યુજર્સી ખાતેની અમનીલ ફાર્મા દ્વારા કોરોના વાઇરસ કોવિડ-૧૯ મહામારીમાં અક્સીર સારવારની શક્યતાવાળી દવા હાઇડ્રોક્સિક્લોરોક્વિનના વિશાળ જથ્થાનું દાન આપવામાં આપવામાં આવ્યું છે. દાન મળેલ દવાનો ઉપયોગ લૂઇસિયાના ખાતે ક્લિનિકલ ટ્રાયલ્સ અને કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે કરાશે તેમ અમનીલ ફાર્માની અખબારી યાદીમાં જણાવાયું છે.
કોરોનાગ્રસ્ત દર્દીઓને સાજા થવામાં આ દવા કેટલી અસરકારક નિવડી શકે છે તે માટેના તબીબી પ્રયોગો ચાલી રહ્યાં છે.
અમનીલના કો-ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ ચિરાગ અને ચિન્ટુ પટેલે જણાવ્યું હતું કે અમનીલ ખાતે અમે બધા આ કોવિડ-૧૯ના વૈશ્વિક સંકટનો સામનો કરવા પ્રતિબદ્ધ છીએ. આ કપરા સમયે કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્યો અને હોસ્પિટલોને શક્ય એટલી તમામ રીતે મદદરૂપ થવા અમે દિનરાત કામ કરી રહ્યાં છીએ જેથી દર્દીઓને તેનો લાભ મળી શકે.