દીપાવલિના સપરમા દિવસોમાં પત્ની દક્ષાબેન લાડ (ઉ.વ.૪૪), પુત્રી ત્રિશા (ઉ.વ. ૧૯) અને નિશા (ઉ.વ. ૧૬)ની સ્કુબા ડાઇવીંગમાં વપરાતા ચપ્પુ વડે ઉપરાછાપરી વાર કરી કરપીણ હત્યા કરી પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરનાર બ્રેડફર્ડ નજીકના ક્લેયટન ખાતે રહેતા જીતેન્દ્રભાઇ લાડ (ઉ.વ.૪૯)એ આ ગોઝારૂ કૃત્ય કરતા પહેલા ઇન્ટરનેટ પર 'તનાવ' અંગે તેમજ કઇ રીતે કોઇનું ગળુ કાપી હત્યા કરવી તેની તપાસ કરી હોવાનું ઇન્કવેસ્ટમાં જણાયું હતું. પત્ની અને બે યુવાન પુત્રીઅોની હત્યા કર્યા બાદ જીતેન્દ્રભાઇએ તેમની સાથે બે દિવસ પસાર કર્યા હતા અને સોમવારે ત્રીજે દિવસે આત્મહત્યા કરી હતી.
બ્રેડફર્ડ કોરોનર કોર્ટમાં ઇન્કવેસ્ટ દરમિયાન જાહેર થયેલ માહિતી મુજબ 'પત્ની અને બે યુવાન પુત્રીઅો સુઇ રહી હતી ત્યારે તેમના પલંગમાં જ તેમની કરપીણ હત્યા કરનાર જીતેન્દ્રભાઇ માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હતા અને તેમની કોઇ જ પ્રકારની માનસિક સારવાર ચાલતી નહોતી. આટલું જ નહિં તેમને કોઇ જ પ્રકારની નાણાંકીય તકલીફ પણ નહોતી. તેમના મિત્રો અને સંબંધીઅોએ પણ જણાવ્યું હતું કે જીતેન્દ્રભાઇ હરહંમેશ પ્રફુલ્લીત રહેતા હતા અને દીપાવલિની ઉજવણી કઇ રીતે કરી તેની વાતો તેમણે મિત્રો પરિચીતોને કહી હતી.
કોર્ટમાં જણાવાયું હતું કે દક્ષાબેન લાડ (ઉ.વ.૪૪), પુત્રી ત્રિશા (ઉ.વ. ૧૯) અને નિશા (ઉ.વ. ૧૬)ની હત્યા તા. ૨૫-૧૦-૧૪ના શનિવારના રોજ સવારના સમયે કરાઇ હશે. પોલીસે કરેલી તપાસમાં જીતેન્દ્રભાઇ શનિ-રવિ દરમિયાન લોકોને જોવા મળ્યા હતા અને તેમણે સોમવારે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હશે તેમ જણાય છે. જીતેન્દ્રભાઇએ હત્યા કર્યા બાદ વિકેન્ડ દરમિયાન દવાઅોનો અોવરડોઝ લઇને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહિં શનિવારના રોજ તેઅો બ્રેડફર્ડ સીટી કાઉન્સિલના કાર પાર્કના ૧૨મા માળા પર વારંવાર દેખાયા હતા.
ડીટેક્ટીવ સાર્જન્ટ ડંકન જેકસને ઇન્કવેસ્ટમાં જણાવ્યું હતું કે 'જીતેન્દ્રભાઇએ બનાવના અઠવાડીયાઅો પહેલા પોતાના ફોન પર 'ડીપ્રેશન' વિષે અને બનાવના થોડાક જ દિવસ પહેલા 'કઇ રીતે કોઇનું ગળુ કાપવું અને વધ કરવો' તે અંગે ઇન્ટરનેટ પર તપાસ કરી હતી.
જીતેન્દ્રભાઇ બ્રેડફર્ડ કાઉન્સિલમાં રેવન્યુ અને બેનીફીટ વિભાગમાં આઇટી મેનેજર તરીકે કામ કરતા હતા. તેમના લાઇન મેનેજર સ્ટીફન બીનલેન્ડે પોલીસને જણાવ્યું હતું કે 'અોગસ્ટ ૨૦૧૩માં બઢતી પામેલા જીતેન્દ્રભાઇએ તેમને સપ્ટેમ્બર ૧૯૧૪માં મળીને જણાવ્યું હતું કે તેઅો તેમના પ્રમોશનથી ખુશ નથી અને તેમને બઢતી આપવા જેવી નહોતી અને પાછા પોતાના મૂળ સ્થાને કામ કરવા માંગે છે.' સ્ટીફને જીતેન્દ્રભાઇને જણાવ્યું હતું કે 'તમે વિકેન્ડમાં પત્ની અને પરિવાર સાથે વાત કરો અને તમારો આખરી નિર્ણય મને કહેજો. પરંતુ સ્ટીફનના જણાવ્યા મુજબ જીતેન્દ્રભાઇ ફરીથી તેમની પાસે આ મુદ્દે વાત કરવા આવ્યા જ નહોતા. જીતેન્દ્રભાઇએ સ્ટીફનને જણાવ્યું હતું કે 'ડીમેન્શીયાગ્રસ્ત પિતા અને માંદી માતાની બીમારીથી હું ચિંતીત છું અને તનાવ અનુભવું છું.'
સાર્જન્ટ જેકશને કોર્ટને જણાવ્યું હતું કે ૨૦૧૪માં અોગસ્ટ મહિનામાં ઇબીતાની હોલીડે પર તેઅો ગયા હતા ત્યારે જીતેન્દ્રભાઇએ શ્રીમતી લી કાર્ટરાઇટ નામની મહિલાને જણાવ્યું હતું કે 'મને હાલની જોબ ગમતી નથી અને કઇંક સારૂ કરવું છે. હું હવે ૫૦ વર્ષનો થઇશ. મને બ્રેડફર્ડ ગમતું નથી તેમજ વિદેશમાં ક્યાંક સ્થાયી થવું છે. પણ મારી બીમાર માતાની સારસંભાળ રાખવાની પણ ફરજ છે. જીતેન્દ્રભાઇએ આત્મહત્યા કરી તેથી લીને આશ્ચર્ય થયું નહોતું પરંતુ જીતેન્દ્રભાઇએ પત્ની અને પુત્રીઅોની હત્યા કરી તે વાત જાણીને તેમને આઘાત લાગ્યો હતો.
જીતેન્દ્રભાઇના ભાઇ રમણભાઇએ કોર્ટને જણાવ્યું હતું કે 'મારો ભાઇ અને પરિવાર ખૂબ જ ખુશ હતા અને કયા કારણે આમ થયું તે જ વિચારી શકાતું નથી. તેમના પરિવારમાં એવું કશું જ ન હતું જ સામાન્ય ન લાગે.'
અત્રે ઉલ્લેખનીય છે કે જીતેન્દ્રભાઇ, તેમના પત્ની અને બે દિકરીઅોના મૃતદેહ સોમવાર તા. ૨૭-૧૦-૧૪ના રોજ રાત્રે તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. દક્ષાબેનના પિતા જગજીવનભાઇએ દક્ષાબેન અને પરિવારજનોને શનિ-રવિ દરમિયાન વારંવાર ફોન કર્યા હતા પરંતુ કોઇ જવાબ ન મળતા તેમણે દક્ષાબેનના ઘરે આવી તપાસ કરતા ઉપરના માળેથી ચારેય જણાના મૃતદેહ મળ્યા હતા.
જીતેન્દ્રભાઇ લાડ મૂળ નવસારી જીલ્લાના ગણદેવા ગામના વતની હતા અને તેમના પત્ની દક્ષાબેન સુરત જીલ્લાના પલસાણા નજીકના ટૂંડી ગામના વતની હતા. દક્ષાબેન પણ બ્રેડફર્ડ કાઉન્સિલમાં શાળાના એડમિશન વિભાગમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરતા હતા. તેમની મોટી દિકરી ત્રિશા લીડ્ઝ યુનિવર્સીટીમાં મેડિકલ બાયોકેમેસ્ટ્રી વિદ્યાશખામાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જ્યારે નાની દિકરી નિશાએ તાજેતરમાં જ થોર્નટન ગ્રામર સ્કૂલમાંથી GCSEનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
સુનાવણી દરમિયાન લાડ પરિવારના ડઝનેક જેટલા સદસ્યો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.