લંડનઃ અમદાવાદ વિમાની દુર્ઘટનાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં ઘણા મૃતક પ્રવાસીઓનો સામાન હજુ સુધી તેમના પરિવારોને પરત કરવામાં આવ્યો નથી. પરિવારો માટે તેમના ગુમાવેલા સ્વજનોના ફોન કે દસ્તાવેજો કદાચ કોઈ મહત્વપૂર્ણ કાગળો હોઈ શકે છે અને તેનાથી પણ વધુ આ વસ્તુઓ સાથે તેમની સંવેદનશીલ યાદો જોડાયેલી છે. દેવર્ષ પટેલે જણાવ્યું હતું કે, મુસાફરોનો સામાન ખૂબ જ ટુકડે-ટુકડે પરત કરાયો હતો. અમે અમારા માતાપિતાના મોબાઇલ ફોન મેળવવા માટે વારંવાર ઇમેઇલ લખ્યા હોવા છતાં તે હજુ સુધી મળ્યા નથી. તે ફોનમાં કેટલીક ખાનગી માહિતી અને યાદો છે. અમે નિયમિત ફોલો-અપ લઈ રહ્યા છીએ, છતાં કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. દેવર્ષના બહેન અમીષી સોઢાએ જણાવ્યું કે તેમના માતાએ ફ્લાઇટ દરમિયાન સોનાના દાગીના પહેર્યા હતા પરંતુ સત્તાવાળાઓ દ્વારા તેના રિકવરી અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અમને સામાનનો માત્ર એક નાનો ભાગ જ મળ્યો છે.

