લંડન: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની પ્રથમ વરસી પર બ્રિટને આતંકવાદ સામે કડક વલણ અપનાવ્યું છે. બ્રિટિશ સરકારે આ ઘટનામાં જીવ ગુમાવનારા નિર્દોષ ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ કોઈપણ સ્વરૂપમાં ફેલાયેલા આતંકવાદની સખત શબ્દોમાં નિંદા કરે છે.
બ્રિટિશ હાઈ કમિશને આ વરસી નિમિત્તે ભારત સાથે આતંકવાદ વિરોધી લડાઈમાં ખભેથી ખભો મિલાવીને ઊભા રહેવાની કટિબદ્ધતા દર્શાવી ઘાતકી હુમલાના પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. બ્રિટને ભારપૂર્વક જણાવ્યું કે, કોઈ પણ વિચારધારા કે હેતુ આતંકવાદના માર્ગે નિર્દોષોની હત્યાને વાજબી ઠેરવી શકે નહીં.
બ્રિટન દ્વારા આતંકવાદની આકરી ટીકા ભારત અને બ્રિટન વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક અને સુરક્ષા સંબંધોને પ્રતિબિંબિત કરે છે. પશ્ચિમી દેશો દ્વારા આ પ્રકારે આતંકવાદના મુદ્દે ભારતનું સમર્થન કરવું તે રાજદ્વારી દ્રષ્ટિએ અત્યંત મહત્વનું માનવામાં આવે છે.

