લંડનઃ ભારતીય પ્રતિનિધિમંડળમાં સામેલ શિવસેના(યુબીટી)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ લંડનમાં હાઇ કમિશન ખાતેની ઇવેન્ટમાં આતંકવાદને સમર્થન આપતા પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન વિશ્વના ટોચના 20 આતંકવાદીઓને આશ્રય આપી રહ્યો છે. પાકિસ્તાન તમારી સાથે હાથ મિલાવે છે અને પછી પીઠમાં ખંજર ભોંકે છે.
પ્રિયંકાએ જણાવ્યું હતું કે, ભારત જી20ની યજમાની કરે છે તો પાકિસ્તાન ટી20ની યજમાની કરે છે. પાકિસ્તાની સરકાર વિશ્વના ટોચના 20 આતંકવાદીઓને આશ્રય આપી રહી છે. આ તેની સરકારી નીતિ છે. અમેરિકામાં આતંકવાદી હુમલો કરનાર ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાં જ સંતાયેલો મળી આવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે તફાવત એ છે કે જ્યારે ભારત યુકે સાથે મુક્ત વેપાર કરાર કરી રહ્યો હતો ત્યારે પાકિસ્તાન ફ્રી ટેરરિઝમ એરેન્જમેન્ટમાં રચ્યો પચ્યો હતો. અમે પાકિસ્તાનને ઉઘાડો પાડવા માટે અહીં આવ્યાં છીએ.