લંડનઃ યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન પાસે હથિયાર હેઠાં મૂકવાની તક છે. જો તે આ તક ઝડપી લે તો ભારત સાથેના સંઘર્ષનો તાત્કાલિક અંત આવી શકે છે. એક ઇન્ટર્વ્યુમાં દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભારતના લશ્કરી ઠેકાણાઓ પર હુમલા બંધ કરે તો આ મામલાનો તાત્કાલિક અંત આવી શકે છે. પરંતુ નિર્ણય પાકિસ્તાને લેવાનો છે.
દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટ કરી ચૂક્યાં છીએ કે અમે તણાવ વધારવા માગતા નથી. પરંતુ જો પાકિસ્તાન જવાબ આપશે તો અમે એવો જ જવાબ તેને આપીશું. ભારતે પાકિસ્તાની સેના પર હુમલો કર્યો નહોતો. પરંતુ તેમણે ભારતના લશ્કરી ઠેકાણા પર હુમલા શરૂ કર્યા તેથી અમને તેમની એર ડિફેન્સ સિસ્ટમ પર હુમલાની ફરજ પડી હતી. ખરી ઉશ્કેરણી તો પહલગામ ખાતેનો પાકિસ્તાન પ્રયોજિત આતંકવાદી હુમલો હતો.
તેમણે જણાવ્યું હતું કે, ભારતે ફક્ત આતંકવાદી માળખાને જ નિશાન બનાવ્યું હતું. આ કવાયત લશ્કરી તણાવ અવગણવા કરાઇ હતી.