લંડનઃ ઇન્ડિયા હાઉસ ખાતે ભારતીય ડાયસ્પોરાને સંબોધતા ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં આતંકવાદ અને સરકારી મશીનરી સાથે મળીને કામ કરે છે. તેમણે પહલગામ આતંકવાદી હુમલાને શાંતિ અને વિકાસને ડહોળવાનું કાવતરું ગણાવ્યો હતો. ઓપરેશન સિંદુરનો ઉદ્દેશ્ય પાકિસ્તાન સમર્થિત આતંકવાદી કેમ્પોનો ખાત્મો કરવાનો હતો.
પ્રસાદે જણાવ્યું હતું કે, ભારત શાંતિની તરફેણ કરે છે પરંતુ નિર્દોશ ભારતીયોની હત્યાની કિંમત આતંકવાદીઓએ ચૂકવવી પડશે. હવે પછી દરેક આતંકવાદી હુમલાને યુદ્ધ તરીકે ગણાશે. ભારત આતંકવાદના મુદ્દે કોઇ સમાધાન કરવા માગતો નથી.
પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં માનવ અધિકાર ઉલ્લંઘન પર પ્રસાદે જણાવ્યું હતું કે, પીઓકેના લોકો ભારત સાથે જોડાવા ચિત્કાર કરી રહ્યાં છે. બલોચિસ્તાનમાં મહિલાઓ સાથે જંગલિયાતભર્યો વ્યવહાર થઇ રહ્યો છે. પાકિસ્તાની જનતા ઘણી વિચલિત છે.
પ્રસાદે જણાવ્યું હતું કે, ભારત અત્યાર સુધીમાં ચાર પરંપરાગત યુદ્ધ લડ્યો છે. તેમાંથી એકની પણ શરૂઆત ભારતે કરી નહોતી. અમે ફક્ત જવાબ જ આપ્યો છે. પાકિસ્તાનનો તમામ યુદ્ધમાં પરાજય થયો છે. ઝીણાએ પાકિસ્તાનનું નિર્માણ કર્યું પરંતુ આજે તે જનરલ શોપ બની ગયો છે.