લંડનઃ પાકિસ્તાની મૂળની ગ્રુમિંગ ગેંગોનો પર્દાફાશ કરનારા પત્રકાર એન્ડ્રુ નોરફ્લોકનું નિધન થયું છે. તેમના સતત પ્રયાસો અને પત્રકારત્વને લીધે પોલીસ અને સોશિયલ સર્વિસિઝના નકારાત્મક વલણ ઉઘાડાં પડ્યાં હતાં. તેમના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમના કારણે સેંકડો સગીર પીડિતાઓના શોષણનો મામલો સામે આવી શક્યો હતો.
2011થી તેમના દ્વારા કરાયેલા ઇન્વેસ્ટિગેશનના કારણે વિવિધ ઇન્કવાયરી શરૂ કરવાની ફરજ પડી હતી. સરકારે બાળકોના જાતીય શોષણને અટકાવવા નેશનલ એક્શન પ્લાન જાહેર કરવો પડ્યો હતો. ગ્રુમિંગ ગેંગ્સ સામે કામગીરી માટે વધુ ભંડોળ ફાળવવાની ફરજ પડી હતી. ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસને નવી ગાઇડલાઇન જારી કરવી પડી હતી જેના પગલે અપરાધીઓને સજા આપવામાં મદદ મળી હતી.
વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે નોરફ્લોકને બહાદૂર પત્રકાર ગણાવતા શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના દેહાંતથી ઘણું દુઃખ થયું છે. તે ન કેવળ કુશળ પત્રકાર હતા પરંતુ સમાજના સૌથી શોષિતો સાથે થઇ રહેલા અન્યાય પ્રત્યે ધ્યાન દોરવા પ્રતિબદ્ધ હતા. ગ્રુમિંગ ગેંગોનો શિકાર પીડિતાઓને સહાય કરવામાં તેમનું યોગદાન અદ્વિતિય છે.