લંડનઃ ભારતથી યુકેમાં ભાગી આવેલા બિઝનેસમેન વિજય માલ્યાએ જણાવ્યું છે કે જો મને ભારતીય બેન્કો પાસેથી લીધેલી લોન મામલામાં ડિફોલ્ટના આરોપોમાં પારદર્શક કાનૂની કાર્યવાહીનું વચન અપાય તો હું ભારત પરત ફરવા અંગે વિચારી શકું છું.
પોડકાસ્ટર રાજ શામાણી સાથેની વાતચીતમાં માલ્યાએ જણાવ્યું હતું કે, મને પારદર્શિક અદાલતી કાર્યવાહીનું વચન અપાય અને ભારતમાં ગૌરવ સાથે રહેવાની પરવાનગી અપાય તો હું પરત ફરવા અંગે વિચારી શકું છું. માલ્યાએ જણાવ્યું હતું કે, મને શા માટે ચોર કહેવામાં આવે છે. મેં કોઇ ચોરી કરી જ નથી.
માલ્યાએ જણાવ્યું હતું કે, હું ભારતથી ભાગીને આવ્યો નહોતો. મારી યુકેની મુલાકાત અગાઉથી નક્કી હતી. હું પરત નહોતો ફર્યો તેના માટે મારી પાસે વ્યાજબી કારણો હતાં. કિંગ ફિશર એરલાઇન્સને બચાવવા માટે મેં તત્કાલિન નાણામંત્રી પ્રણવ મુખરજીને વિનંતી કરી હતી પરંતુ તેનો સ્વીકાર કરાયો નહોતો.
માલ્યાએ એવો પણ દાવો કર્યો હતો કે 2016માં મેં ભારત છોડ્યું ત્યારે તેની જાણ તત્કાલિન નાણામંત્રી સ્વ. અરુણ જેટલીને કરી હતી.