પીઓકેમાં હિમસ્ખલનમાં પ્રસિદ્ધ પર્વતારોહક નિર્મલ પુરજા (એમબીઇ)નું નિધન

પૂર્વ બ્રિટિશ સૈનિક એવા પુરજાને કિંગ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમની શ્રદ્ધાંજલિ

Tuesday 04th August 2026 12:49 EDT
 
 

લંડનઃ નેપાળમાં જન્મેલા બ્રિટિશ પર્વતારોહક નિર્મલ 'નિમ્સદાઈ' પુરજા (43) નું પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં 8,047 મીટર ઊંચા બ્રોડ પીક પર થયેલા હિમસ્ખલનમાં અન્ય નવ પર્વતારોહકો સાથે દુઃખદ અવસાન થયું હતું. આ દુર્ઘટનાના શિકાર બનેલા પર્વતારોહકોમાં છ નેપાળી અને પાકિસ્તાન, ઓમાન, અમેરિકા તેમજ ચીનના એક-એક નાગરિકનો સમાવેશ થાય છે.

પોતાના 43મા જન્મદિવસે જ પુરજા ઓક્સિજન વિના વિશ્વના તમામ 8,000 મીટરથી ઊંચા શિખરો બે વાર સર કરનારા પ્રથમ પર્વતારોહક બનવાના મિશન પર હતા. 1983માં નેપાળમાં જન્મેલા પુરજા બ્રિટિશ નાગરિક બન્યા હતા. તેમણે 16 વર્ષ સુધી બ્રિટિશ સૈન્યમાં સેવા આપી હતી, જેમાં બ્રિગેડ ઓફ ગોરખાથી લઈને રોયલ નેવીના વિશેષ યુનિટ સ્પેશિયલ બોટ સર્વિસમાં જોડાનારા પ્રથમ ગોરખા બનવાનું ગૌરવ પણ સામેલ છે. વર્ષ 2018માં મહારાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા તેમને MBE સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

કિંગ ચાર્લ્સ અને પ્રિન્સ વિલિયમે પીઓકે સ્થિત બ્રોડ પીક ખાતે આવેલા ભયાનક હિમપ્રપાતમાં જીવ ગુમાવનારા નેપાળી મૂળના જાણીતા બ્રિટિશ પર્વતારોહક નિર્મલ પુરજાને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. કિંગ ચાર્લ્સે નિર્મલ પુરજાને યાદ કરતા જણાવ્યું હતું કે, તેમણે પહેલા બ્રિટિશ સેનામાં નિષ્ઠાપૂર્વક સેવા આપી અને બાદમાં વિશ્વના સૌથી આદરણીય પર્વતારોહકોમાંથી એક બન્યા. તેમણે રેકોર્ડબ્રેક અભિયાનો દ્વારા વિશ્વભરના લોકોને પ્રેરણા આપી છે.

પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમે આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતા પુરજાને વિશ્વના સૌથી મહાન અને અનન્ય પર્વતારોહકોમાંના એક ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પુરજાએ પર્વતારોહણની દુનિયામાં નેપાળી પર્વતારોહકોને એક નવું સ્થાન અપાવ્યું. અશક્ય લાગતા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની તેમની સતત ઝંખના, નમ્રતા અને નિઃસ્વાર્થતાએ તેમને ખરેખર અજોડ બનાવ્યા હતા. તેમણે પુરજાના પરિવાર અને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter