લંડનઃ પીટરબરોમાં ભારત હિન્દુ સમાજના મંદિરની પ્રોપર્ટીના વેચાણનો વિવાદ હાલ અદાલતમાં છે ત્યારે આ પ્રોપર્ટી ખરીદવા ઇચ્છતી મસ્જિદે તે જગ્યા પર કોમ્યિનિટી સેન્ટર બનાવવાની યોજના જાહેર કરી છે.
પીટરબરો કાઉન્સિલ આર્થિક ખોટ અને દેવામાં ઘટાડો કરવાના ભાગરૂપે ન્યૂ ઇંગ્લેન્ડ કોમ્પ્લેક્સનું વેચાણ કરવા ઇચ્છે છએ. કાઉન્સિલની કેબિનેટે ડિસેમ્બરમાં જ સંભવિત ખરીદનારની પસંદગી કરી લીધી બતી અને પ્રોપર્ટી વેચાણ અંગેનો અંતિમ નિર્ણય ફેબ્રુઆરીમાં લેવાયો હતો.
મસ્જિદ ખદીજાએ પોતાને આ પ્રોપર્ટી ખરીદનાર તરીકે જાહેર કરી છે. મસ્જિદે જણાવ્યું હતું કે, પીટરબરો યુનિટી સેન્ટરના નિર્માણના પ્રસ્તાવથી આખી કોમ્યુનિટીને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાશે. જે અંતર્ગત પ્રેયર રૂમ્સની સાથે સાથે ફૂડ બેન્ક, કોમ્યુનિટી કિચન, યૂથ ક્લબ અને કાઉન્સેલિંગ સર્વિસ જેવી સુવિધાઓનો સમાવેશ કરાયો છે. કોમ્યુનિટી ઇવેન્ટ્સ અને મિટિંગ માટે પણ જગ્યા તૈયાર કરાશે. મસ્જિદે જણાવ્યું હતું કે, અમે કોમ્યુનિટીના લાભ, જવાબદાર રોકાણ અને સામાજિક એકતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ.
વિરોધ છતાં પીટરબરો કાઉન્સિલનો નિંદાત્મક પ્રયાસ
બ્રિટિશ કાયદામાં વેડનસબરી અયોગ્યતાનો પરંપરાગત આધાર અપાયો છે. જો કોઇ કાઉન્સિલ હજારો લોકોને સુવિધા આપતા અને વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા ધાર્મિક સ્થળને સમકક્ષ વ્યવસ્થા આપ્યા વિના જ કોમ્યુનિટી સેન્ટર બનાવવાનો પ્રસ્તાવ મૂકે તો તે નિર્ણયને અયોગ્ય ગણાવીને પડકારી શકાય છે. સવાલ એ છે કે કાઉન્સિલના સત્તાધીશો દ્વારા વસતી, સમાજ પર પડનારા પ્રભાવ અને સમાજની માગનું યોગ્ય મૂલ્યાંકન કર્યું હતું કે નહીં. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, ન્યાયિક સમીક્ષા હિંદુ ધર્મનું રક્ષણ કરવા અથવા કોમ્યુનિટી સેન્ટરનો વિરોધ કરવા માટે નથી. તેનો હેતુ કોઈ જાહેર સત્તામંડળ હજારો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી, લાંબા સમયથી ચાલતી ધાર્મિક સુવિધાને કાયદેસર કારણ, સલાહ-સૂચન અને સમાનતાના મૂલ્યાંકન વિના સહેલાઈથી બંધ ન કરે કે સુનિશ્ચિત કરવાનો છે.


